ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 નવેમ્બર 2018 (12:20 IST)

જસદણની ચૂંટણી સંદર્ભે આચારસંહિતા લાગુઃ રાજકીય પક્ષો સાથે તંત્રની બેઠક

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી જસદણ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીના અનુસંધાને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રતિનિધિઓને સમગ્ર ચૂંટણી પ્રક્રીયાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ આ બેઠકમાં કહ્યું કે, જસદણ વિધાનસભા વિસ્તારની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. ખાસ કરીને ૧-૧-૨૦૧૮ની સ્થિતિની મતદાર યાદી પ્રમાણે મતદાર મતદાન કરી શકશે. એટલે કે તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય અને મતદાન યાદીમાં નામ હોય તેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

તેમણે એવી પણ માહિતી આપી કે, ચૂંટણી પ્રક્રીયાના અનુસંધાને વિવિધ પ્રકારની ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ સમિતિ, આદર્શ આચાર સંહિતા સમિતિ, એમસીએમસી, ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટિક સર્વેલન્સ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આદર્શ આચાર સંહિતાની બાબતની સમજ આપતા કલેક્ટરશ્રીએ રાજકીય પક્ષોને તેનું પાલન કરવા પણ જણાવ્યું હતું.

ખાસ કરીને ખર્ચની બાબતમાં ચૂંટણી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલા દરોના આધારે જે તે ઉમેદવારના વ્યક્તિગત ખાતામાં ચૂંટણીનો ખર્ચ ગણવામાં આવશે અને ઉમેદવાર માટે રૂ. ૨૮ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે તેવી જાણકારી પણ ડો. ગુપ્તાએ આપી હતી અને ઉમેદવારે ચૂંટણી માટેનું અલગથી બેંક ખાતુ ખોલવાની પ્રક્રીયા સમજાવી હતી. વિવિધ બાબતનો ભાવપત્રકો રાજકીય પક્ષોને આપવામાં આવ્યા હતા. જસદણ વિસ્તારમાં રૂ. ૫૦ હજારથી વધુની રોકડ રકમની હેરફેર પ્રસંગે તે રકમ અંગેના જરૂરી આધાર પુરાવા, બિલો રાખવા જણાવવામાં આવ્યું હતું.