શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2017 (14:38 IST)

નાદુરસ્ત તબિયતના કારણે જાણિતા કવિ અને લેખક ચીનું મોદીનું નિધન

ગુજરાતના સાહિત્યકાર અને ‘ઇર્શાદ’ તરીકે જાણીતા ચીનુ મોદીનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. ચીનુ મોદીના સમાચાર મળતા જ ગુજરાતી સાહિત્યકારોમાં શોકનો માહોલ છવાઈ ગયા છે. 77 વર્ષની વયે ચીનુ મોદીનું અવસાન થતાં સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં ઘેરો શોક છવાઇ ગયો હતો.


ચિનુ મોદીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલથી ઘરે લઇ જવાયા હતા ત્યાં ઘરે તેમને અંતિમ શ્વાસ લીધા છે. છાતીમાં દુખાવાની ફરીયાદ બાદ ચિનુભાઇને તત્કાલિક અસરથી વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. ચિનુ મોદીની તબિયત છેલ્લા કેટલાક દિવસથી અસ્વસ્થ હતી. તેમને અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર બાદ ઘરે દેહ છોડ્યો હતો. ચીનુ મોદીએ ગુજરાતી સાહિત્યના તમામ ક્ષેત્રો પોતાનું યોગદાન આપ્યું છે.  

કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક ચીનુ મોદીનો જન્મ વર્ષ ૩૦-૯-૧૯૩૯માં ઉત્તર ગુજરાતના વિજાપરુમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં લીધું હતું જ્યારે માધ્યમિક શિક્ષણ ધોળકા અને અમદાવાદમાં લીધું હતું. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૧માં ગુજરાતી હિન્દી વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી કપડવંજ અને તલોદની કૉલેજોમાં અધ્યાપન. ૧૯૬૫થી ૧૯૭૫ સુધી અમદાવાદની સ્વામીનારાયણ આર્ટસ કૉલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી. ૧૯૭૫થી ૧૯૭૭ સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર તરીકે પણ તેમણે કામ કર્યું હતું. 
એમની પ્રારંભકાળની ‘વાતાયન’ (૧૯૬૩)ની કવિતા સંવેદન અને છંદઆયોજન પરત્વે અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરે છે; પરંતુ ‘રે મઠ’ના કવિમિત્રોના સંપર્કમાં આવ્યા પછી તરત એમની કવિતામાં આધુનિક કવિતાનો મિજાજ પ્રગટ થાય છે. ‘વાતાયન’ની રચનાઓને સમાવી એમાં બીજી રચનાઓ ઉમેરીને પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ’ (૧૯૭૪)ની કવિતામાં છાંદસની સાથે અછાંદસ કવિતા રચવાનું વલણ દેખાય છે. ત્યારપછી પ્રગટ થયેલા ‘શાપિત વનમાં’ (૧૯૭૬) અને ‘દેશવટો’ (૧૯૭૮)ની રચનાઓમાં એ વલણ વિશેષ પ્રભાવક બને છે. જીવન પ્રત્યેની નિર્ભ્રાન્તિ, એકવિધ જીવન પ્રત્યેની ઉબક, માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક વગેરે આધુનિક સંવેદન એમાં વ્યક્ત થાય છે. અછાંદસ રચનાઓની સાથે ગઝલ પણ ‘રે મઠ’ના કેટલાક કવિમિત્રો દ્વારા આધુનિક મિજાજની વાહક બની પોતાનું નૂતન રૂપ સિદ્ધ કરે છે. ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં આ કવિનો પણ અગત્યનો ફાળો છે તે ‘ક્ષણોના મહેલમાં’ (૧૯૭૨), ‘દર્પણની ગલીમાં’ (૧૯૭૫) અને ‘ઇર્શાદગઢ’ (૧૯૭૯)ની ગઝલોમાં જોઈ શકાય છે. ‘તસ્બી’ પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિનો પોતીકો ઉન્મેષ છે. ‘બાહુક’ (૧૯૮૨) ‘નળાખ્યાન’ના પૌરાણિક પાત્ર બાહુકને વિષય બનાવી સંસ્કૃતાઢય શૈલી અને અલંકારવૈભવથી ખંડકાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું, નગરવિયોગને વાચા આપતું પરલક્ષી કાવ્ય છે.  
‘ભાવચક્ર’ (૧૯૭૫)ના એક ખંડમાં ‘શૈલા મજમુદાર’ની કથાનું જ પુનરાવર્તન છે. બીજા ખંડમાં પૂર્ણેન્દુ શર્માના પરિપ્રેક્ષ્યથી બનેલી ઘટનાને જોઈ છે ખરી, પણ એનાથી કૃતિને કોઈ વિશેષ પરિમાણ પ્રાપ્ત થતું નથી. ગ્રામપરિવેશવાળી ‘લીલા નાગ’ (૧૯૭૧) મનુષ્યમાં રહેલા જાતીય આવેગ અને તેની વિકૃતિની કથા છે. ‘હેંગ ઓવર’ (૧૯૮૫) કામના ઉત્કટ આવેગવાળી સ્ત્રીમાં જન્મતી ઉદ્દંડ પ્રગલ્ભતાને આલેખે છે. એમની વિશેષ જાણીતી બનેલી નવલકથા ‘ભાવ-અભાવ’ (૧૯૬૯) પોતાના અસ્તિત્વથી સભાન બનેલા એક માનવીની જીવનકથા છે. વિચારતત્વનું ભારણ આ લઘુકૃતિની કલાત્મકતાને જોખમાવે છે. ‘પહેલાં વરસાદનો છાંટો’ (૧૯૮૭) એમની ધારાવાહી નવલકથા છે. ‘ડાબી મૂઠી જમણી મૂઠી’ (૧૯૮૬) એમનો ઠેરઠેર પદ્યપંક્તિઓતી મંડિત પ્રયોગલક્ષી વાર્તાસંગ્રહ છે.