શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (09:19 IST)

સર્વ પિતૃ અમાવસ્યા - કેવી રીતે કરશો સર્વપિતૃ અમાવસ્યાનુ શ્રાદ્ધ, જાણો પૂજા વિધિ અને મુહૂર્ત પૂજા વિધિ મુહુર્ત અને મહત્વ

ભાદરવા વદ અમાસ એ પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે કોઈ પિતૃ કે જેનું શ્રાદ્ધ રહી ગયું હોય તેનું શ્રાદ્ધ કરી શકાય છે. તેથી જ તેને સર્વપિતૃ અમાસ કહેવાય છે. આ વખતે 17 સપ્ટેમ્બરે પિતૃપક્ષ, મહાલયની પૂર્ણાહુતિ થશે. તે સાથે જ શ્રાદ્ધપક્ષ પૂર્ણ થઈ જશે. શાસ્ત્રોમાં આ અમાસને મોક્ષદાયિની અમાસ કહેવામાં આવે છે.
 
જે વ્યક્તિ પિતૃપક્ષના પંદર દિવસો સુધી શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરતા તેઓ અમાસના રોજ પોતાના પિતૃના નામનું શ્રાદ્ધ વગેરે સંપન્ન કરે છે. જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે આ અમાસના રોજ કરવામાં આવે છે. 
 
એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આદર અને શ્રદ્ધા સાથે નમન કરીને પૂર્વજોને વિદાય આપે છે. તેના પિતૃદેવ તેના ઘર-પરિવારમાં ખુશીઓ ભરી દે છે. જે ઘરમાં પિતૃ પ્રસન્ન થાય છે તેમને પુત્ર પ્રાપ્તિ થાય છે અને માંગલિક કાર્યક્રમ તેમના જ ઘરમાં થાય છે. 
 
પિતૃ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠો અને સાબુ લગાવ્યા વગર સ્નાન કરો અને પછી સ્વચ્છ કપડાં પહેરો. પૂર્વજોના બલિદાન માટે સાત્વિક વાનગી તૈયાર કરો અને તેમનુ શ્રાદ્ધ કરો. 
 
સર્વપિતૃ અમાસના દિવસે પંચબલિ અથાર્ત ગાય, કુતરા, કાગડા, દેવ અને કીડીઓ માટે ભોજનનો અંશ કાઢીને તેને આપવો જોઇએ. આ ઉપરાંત બ્રાહ્મણ કે કોઇ ગરીબને ભોજન કરાવવું જોઇએ. પોતાની ક્ષમતા અનુસાર તેમને દક્ષિણા આપો. બ્રાહ્મણ ભોજન બાદ પિતૃઓને ધન્યવાદ આપો અને જાણતા અજાણતા થયેલી ભુલ માટે તેમની માફી માંગો. ત્યારબાદ આખા પરિવાર સાથે બેસીને ભોજન કરો. 
 
એક દિવો પ્રગટાવો એક વાસણમાં પાણી લો. હવે તમારા પિતૃઓને યાદ કરો અને તેમને પ્રાર્થના કરો કે પિતૃપક્ષ સમાપ્ત થાય છે તેથી તેઓ પરિવારના બધા સભ્યોને આશીર્વાદ આપે છે અને તેમના લોકમાં પાછા જાય. 
 
આ કર્યા પછી, પાણીથી ભરેલા લોટા અને દીવો લઈને પીપળાની પૂજા કરવા જાઓ. ભગવાન વિષ્ણુને ત્યાં યાદ કરો અને ઝાડની નીચે દીવો મુકો અને  જળ ચઢાવતી વખતે પિતૃઓ પાસેથી આશીર્વાદ માંગો. પિતૃ વિસર્જન વિધિ દરમિયાન કોઈની સાથે વાત ન કરશો.  
 
સાંજે સરસવના તેલના ચાર દીવા પ્રગટાવો. તેમને ઘરના ઉંબરે મુકી દો 
 
સર્વ પિતૃ અમાસ તિથિ અને શ્રાદ્ધ મુહૂર્ત  
 
સર્વપિતૃ અમાસની તિથિ – 17 સપ્ટેમ્બર 2020
અમાસની તિથિ આરંભ – 16 સપ્ટેમ્બરના રોજ સાંજે 07:56 મિનીટથી
અમાસની તિથિ સમાપ્ત – 17 સપ્ટેમ્બર 2020ના રોજ રાત્રે 04:29 મિનીટ સુધી
કુતુપ મૂહુર્ત – 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગીને 51 મિનીટથી બપોરે 12 વાગીને 40 મિનીટ સુધી
રોહિણ મુહુર્ત – બપોરે 12:40થી 1:29 મિનીટ સુધી
અપરાહન કાળ – બપોરે 1:29 મિનીટથી 3:56 મિનીટ સુધી
 
સર્વપિતૃ અમાસે કરો તર્પણ અને પિંડદાન    
 
પિતૃપક્ષમાં રોજ તર્પણ કરવું જોઇએ. જો ન કરી શક્યા હો તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પાણીમાં દુધ, જવ, ચોખા અને ગંગાજળ નાંખીને તર્પણ કરવું જોઇએ. આ દરમિયાન પિંડદાન પણ કરવુ જોઇએ. પિંડદાન માટે અશ્વિન અમાવસ્યા વિશેષ રીતે શુભ ફળદાયી માનવામાં આવે છે. પિતૃ અમાવસ્યા હોવાના કારણે તેને પિતૃ વિસર્જની અમાવસ્યા અને મહાલયા પણ કહેવાય છે.