1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 નવેમ્બર 2019 (10:38 IST)

પાકિસ્તાન ટ્રેન દુર્ઘટના : 'જે લોકો ચાલુ ટ્રેનમાંથી કૂદી ગયા એ જ જીવિત રહ્યા'

પાકિસ્તાન રેલવેની 'તેઝ ગામ એક્સપ્રેસ'માં આગ લાગવાથી લગભગ 74 લોકોનાં મૃત્યુ થયાં છે.
તેઝ ગામ એક્સપ્રેસ કરાચીથી રાવલપીંડી જઈ રહી હતી. લિયાકતપુર પહોંચતી વખતે ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગી ગઈ.
રહીમ યાર ખાન જિલ્લાના ડીપીઓ અમીર તૈમુર ખાને જણાવ્યું કે 42થી વધારે લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને મુલતાનના બર્ન-સેન્ટર ખાતે મોકલાઈ રહ્યા છે.
રહીમ યાર ખાનના ડેપ્યૂટી કમિશનર જમીલ અહમદ જમીલે બીબીસીને કહ્યું કે ઘટનામાં 74 લોકોનાં મોત થયાં છે. જ્યારે 39 લોકો ઘાયલ થયાં છે અને છ લોકોની હાલત હજી નાજુક છે. ઘાયલોની શેખ ઝાયેદ હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.
રેલમંત્રીનું કહેવું હતું કે પીડિતો તબલીગી જમાતનો એક સમૂહ હતો જે લાહોરમાં ઇમ્તિયાઝ માટે મુસાફરી કરી રહ્યો હતો.
તેમના મતે મુસાફરો પાસે નાસ્તાનો સામાન હતો અને સિલિન્ડર તેમજ ચૂલા હતા. કહેવાઈ રહ્યું છે સિલિન્ડર ફાટવાથી આગ લાગી.
તેમણે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને ત્રણ ડબ્બા પ્રભાવિત થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
તેમણે એવું પણ કહ્યું કે ટ્રેન પાટા પરથી નીચે ઊતરી નથી અને એક કલાકની અંદર લિયાકતપુર જંકશન પહોંચાડી દેવાશે.
 
'જે કૂદી ગયા એ લોકો જ જીવિત રહ્યા'
મુલ્તાન સ્થિત નિશ્તાર હૉસ્પિટલના બર્ન વૉર્ડમાં નવ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
કેટલાક લોકોને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી તો કેટલાક લોકોને ફ્રૅકચર થયાં હતાં.
આ હૉસ્પિટલના ડૉક્ટરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેટલાક લોકોના શરીરનો 20 ટકા જેટલો ભાગ દાઝી ગયો છે.
તેમણે એવું પણ કહ્યું કે આગના ધુમાડાને કારણે લોકોનાં ફેફસાંને અસર થઈ છે.
ડૉક્ટરે જણાવ્યું, "મોટાભાગના દર્દીઓને ફ્રૅકચર થયાં છે. આ એ લોકો છે જેઓ ટ્રેનની બોગીમાં હતા અને ચાલુ ટ્રેનમાંથી કૂદી ગયા હતા."
"જે લોકો જીવ બચાવવા માટે કૂદી ગયા એ લોકો બચી ગયા અને જે લોકો બોગીમાં રહ્યા એ લોકો મૃત્યુ પામ્યા."
 
કેવી રીતે ઘટી દુર્ઘટના?
રેલવેમંત્રી શેખ રાશિદ અહમદનું કહેવું હતું કે પીડિતોમાં તબલીગી જમાતનો એક સમૂહ હતો, તેઓ લાહોર જઈ રહ્યા હતા.
રેલવે મંત્રીનું કહેવું હતું કે યાત્રીઓ પાસે નાસ્તો બનાવવા માટે સિલિંડર અને ચૂલો હતા, સિલિંડર ફાટવાને કારણે આગી લાગી હતી.
તેમણે કહ્યું કે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને ત્રણ બોગીઓ આગની ઝપેટમાં આવી હતી.
ઈજાગ્રસ્તોને નજીકના દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે એવું પણ કહ્યું કે ટ્રેન ટ્રૅક પરથી નથી ઊતરી અને એક કલાકની અંદર લિયાકતપુર જંક્શન મોકલી દેવામાં આવશે.
ઘટના બાદ ઘણી ટ્રેનો રદ કરી દેવાઈ હતી, જોકે હવે પાકિસ્તાન રેલવેની 134 ટ્રેનોને પૂર્વવત્ કરી દેવામાં આવી છે.
 
ઇમરાન ખાને દુઃખ વ્યક્ત કર્યું
રેડિયો પાકિસ્તાનના જણાવ્યા અનુસાર આ ઘટના પર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતોની યોગ્ય સારવાર માટે આદેશ પણ જાહેર કર્યો છે.
રેલમંત્રી શેખ રશીદે જણાવ્યું છે કે મુસાફરો અને ટ્રેનનો વીમો લીધેલો છે, જેથી આર્થિક નુકસાનની ભરપાઈ થઈ જશે. તેમણે આ ઘટનાની તપાસ કરવાની પણ સ્પષ્ટતા કરી છે.
ખાનગી ચેનલ સાથે વાત કરતાં શેખ રશીદે કહ્યું કે એક જ નામથી કેટલાય ડબ્બાનું બુકિંગ કરાયું હતું. અધિકારીઓ માર્યા ગયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.