1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: પટણા , મંગળવાર, 10 નવેમ્બર 2015 (13:21 IST)

નીતિશકુમાર છઠ્ઠ પર્વ પછી 20મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે

મહાગઠબંધનના નેતા નીતિશકુમાર બિહારના મુખ્‍યમંત્રી પદના શપથ છઠ્ઠ પર્વ બાદ લેશે. જે નવેમ્‍બરના ત્રીજા સપ્‍તાહમાં મનાવવામાં આવે છે. એવુ જાણવા મળે છે કે, ર૦મી નવેમ્‍બરના રોજ તેઓ અને તેની ૩૬ સભ્‍યોની કેબીનેટના સભ્‍યો હોદો અને ગુપ્‍તતાના શપથ લેશે.
 
 
   જેડીયુના એક નેતાના જણાવ્‍યા પ્રમાણે નીતિશકુમાર સાથે ૩૬ સભ્‍યોની કેબીનેટ છઠ્ઠ પર્વ બાદ ર૦મી નવેમ્‍બરે શપથગ્રહણ કરશે. છઠ્ઠ બિહારનો સૌથી લોકપ્રિય તહેવાર છે. મહાગઠબંધનના નેતાઓના જણાવ્‍યા પ્રમાણે નીતિશની કેબીનેટમાં લાલુપ્રસાદના રાજદના ૧૬, જેડીયુના ૧પ અને કોંગ્રેસના પાંચ પ્રધાનો હશે.
 
   અત્રે એ નોંધનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં રાજદ ૮૦ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્‍યો છે. તે પછી જેડીયુને ૭૧ અને કોંગ્રેસને ર૭ બેઠકો મળી છે. લાલુનો પુત્ર તેજસ્‍વી નાયબ મુખ્‍યમંત્રી બને તેવી પુરેપુરી શકયતા છે.
   મહાગઠબંધનના ઘટક પક્ષોથી જીતીને આવેલા ધારાસભ્‍યોને દિવાળી બાદ પટણા બોલાવાયા છે અને તેઓની ઔપચારિક બેઠક બાદ જ આગળની પ્રક્રિયા બાદ જ કામ શરૂ થશે. અલગ-અલગ ઘટક પક્ષોના ધારાસભ્‍યોની બેઠક બાદ નીતિશના વડપણમાં મહાગઠબંધનના ધારાસભ્‍યોની એક સંયુકત બેઠક મળશે. તેમાં નીતિશને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે, વર્તમાન વિધાનસભાની બેઠક ર૯મી નવેમ્‍બર સુધીની છે. નીતિશ ગાંધી મેદાનમાં શપથ લેશે.