ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (15:10 IST)

ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રીઓ : એક ઝલક

ગુજરાતના મુખ્યમંત્રીપદે આરૂઢ  થનારા વિજય રૃપાણી હોદ્દાની મુદતની રીતે ગુજરાતના ૨3મા મુખ્યમંત્રી છે. તો વ્યક્તિની રીતે સોળમા મુખ્યમંત્રી છે. ગુજરાતે પ્રમાણમાં ઘણી ઓછી રાજકીય સ્થિરતા જોઇએ છે. આમ છતાં ગુજરાતની પ્રજાએ વિકાસપથની સફર સતત જારી રાખી છે.

ડો. જીવરાજ મહેતા
ગુજરાત અને મહારાષ્ટ્ર ૧૯૬૦ મેની ૧લી તારીખે અલગ રાજ્યો બન્યાં. સ્વતંત્ર ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી  સૌથી વરિષ્ઠ એવા ૭૩ વર્ષીય નાણામંત્રી ડા. જીવરાજ મહેતા પર પસંદગીનો કળશ ઢોળાયો. અમરેલીના વતની જીવરાજભાઇએ મુંબઇ અને લંડનમાં તબીબી શિક્ષણ મેળવ્યું હતું. સ્વાતંત્રયની લડતમાં સક્રિય હતા. નવરચિત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે ખાધવાળા રાજ્યના વહીવટનો ભાર ઉપાડ્યો. મુંબઇ રાજ્યનું વિભાજન થતાં તેમણે રાજ્યના વહીવટનો પાયો સુદ્દઢ કર્યો. જીવરાજભાઇની આગેવાનીમાં ૧૯૬૨માં કોંગ્રેસને ૧૧૩ બેઠકો મળી હતી.  



બળવંત મહેતા
બળવંતરાય મહેતા ૧૯૫૨માં ચૂંટણી જીતી તેઓ લોકસભામાંગયા હતા. તેમણે પંચાયતી રાજ સુદ્દઢ કર્યું. તેમની વહીવટ પર પકડ હતી. તેમના શાસન દરમિયાન વલસાડ અને ગાંધીનગર બે નવા જિલ્લા થયા. કંડલા ફ્રી ટ્રેડ ઝોન તેમના સમયમાં સ્થપાયો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રચના માટે તેમણે સમિતિ નીમી. ૧૯૬૫ માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન, યુદ્ધિવરામ સમયે તેઓ વિમાનમાં બેસી કચ્છ સરહદ જોવા ગયા. પાકિસ્તાનના રડારમાં તેમનું વિમાન ઝડપાતાં પાકિસ્તાનનાં યુદ્ધવિમાનોએ તેમના વિમાનને તોડી પાડ્યું, જેમાં તેમનું અને તેમનાં પત્ની સરોજબહેનનું અવસાન થયું. તેમની સરકાર ૧૯-૯-૬૩ થી ૧૯-૯-૬૫ સુધી ચાલી હતી. 


હિતેન્દ્રભાઇ દેસાઇ
હિતેન્દ્રભાઇ દેસાઇએ ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૬૫ ના રોજ મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું.  ૫૦ વર્ષની વયે તેઓ મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન તેમણે વલસાડ જિલ્લાનો પારડી ઘાસિયા જમીનનો પ્રશ્નો ઉકેલ્યો. ૧૯૬૮ - ૬૯ ના દુષ્કાળમાં તેમણે સફળ રાહતકામ કર્યું. પાટનગર ગાંધીનગરમાં તેમણે વસાહતોનાં મંડાણ કરાવ્યાં. નવેમ્બર ૧૯૬૯માં કોંગ્રેસનું વિભાજન થતાં તેઓ સંસ્થા કોંગ્રેસમાં જોડાયા. લોકસભામાં સંસ્થા કોંગ્રેસના પરાજય પછી તેમણે પોતાની સરકારનું રાજીનામું આપ્યું. જોકે પછી નાના પક્ષો અને અપક્ષોની મદદથી તેમણે પુનઃ સત્તા મેળવી, પણ ૩૫ દિવસમાં જ તેમનું મંત્રીમંડળ તુટ્યું.  

ઘનશ્યામભાઇ ઓઝા
ભારત પાકિસ્તાનના ૧૯૭૧ ના યુદ્ધ પછી માર્ચ, ૧૯૭૨માં યોજાયેલી ચૂંટણીમાં ઇન્દિરા કોંગ્રેસને ૧૬૮માંથી ૧૩૯ બેઠકો મળી. ૬૧ વર્ષના ઘનશ્યામભાઇ ઓઝાને ઇન્દિરા ગાંધીએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં. તેમના સમયકાળમાં સમગ્ર રાજ્યમાં માધ્યમિક શિક્ષણ  તદ્‌ન મફત કર્યું. નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપી. શહેરી જમીન ટોચમર્યાદા ધારો ઘડીને તેમણે જમીનની સટ્ટાખોરી અટકાવી. જૂન, ૧૯૭૩માં ઘનશ્યામભાઇ સામે અવિશ્વાસનો મત રજૂ થયો એટલે તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું.


ચીમનભાઇ પટેલ
ઘનશ્યામભાઇના રાજીનામા પછી ચીમનભાઇ પટેલે ઇન્દિરા ગાંધીની વિરૂદ્ધમાં જઇને મુખ્યમંત્રીપદ હાંસલ કર્યું. જોકે ૧૯૭૪ માં થયેલા નવનિર્માણ આંદોલને ચીમનભાઇ પટેલ માટે સમગ્ર ગુજરાતમાં તિરસ્કાર ઊભો કર્યો. છેવટે ચીમનભાઇએ રાજીનામું આપ્યું. તેમણે જુન, ૧૯૭૫ માં કિસાન નેતાઓના ટેકાથી ગુજરાત કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ) નામનો પ્રાદેશિક પક્ષ રચ્યો. આ પક્ષને ૧૨ બેઠકો મળી હતી. ૧૯૭૭ માં ચીમનભાઇ જનતા પક્ષમાં જોડાયા. ૧૯૯૦માં ગુજરાતની આઠમી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપ સાથે મળીને મિશ્ર સરકાર રચી હતી.  

બાબુભાઇ પટેલ
જનતા મોરચાને એપ્રિલ, ૧૯૭૫ માં થયેલી ચૂંટણીમાં ૮૬ બેઠકો મળી. અન્ય પક્ષોના ટેકાથી જનતા મોરચાએ સરકાર રચી અને બાબુભાઇ જશભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા.  દેશમાં કટોકટી લદાયા પછી ઇન્દિરા ગાંધીએ ‘કિમલોપ’ના  ચીમનભાઇ પટેલનો સહકાર મેળવી બાબુભાઇની સરકાર તોડી. ૧૯૭૭, માર્ચમાં તેઓ જોકે પુનઃ મુખ્યમંત્રી થયા.  


માધવસિંહ સોલંકી
માર્ચ, ૧૯૭૬ માં બાબુભાઇ પટેલની સરકારના પતન પછી માધવસિંહ સોલંકીએ પોતાનું મંત્રીમંડળ રચ્યું. ૧૯૭૭માં વિધાનસભામાં બહુમતી ઘટતાં તેમણે રાજીનામું આપી દીધું હતું, પરંતુ ૧૯૮૦ માં ૧૩૯ બેઠકોના વિજય સાથે તેમણે પુનઃ મુખ્યમંત્રીપદ સંભાળ્યું અને મંત્રીમંડળની પાંચ વર્ષની મુદત પૂરી કરનાર તેઓ ગુજરાતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મુખ્યમંત્રી બન્યા.૧૯૮૫ની ચૂંટણીમાં જીતી તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી અનામતિવરોધી આંદોલને તેમનો ભોગ લીધો. માધવસિંહ સોલંકી ખામ થિયરીને ગુજરાતમાં પ્રચિલત કરી એવું કહેવાય છે.૧૯૮૯ માં તેઓ ચોથીવાર મુખ્યમંત્રી બન્યા હતાં.

અમરસિંહ ચૌધરી
 ૧૯૮૫માં માધવસિંહ સોલંકીના અનુગામી તરીકે અમરસિંહ ચૌધરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૪૪ વર્ષની સૌથી નાની વયે રાજ્યના મુખ્યમંત્રી બનનાર અમરસિંહ ચૌધરીએ રાજ્યમાં શાંતિ સ્થાપી. ૧૯૮૮ માં તેમણે નર્મદા કોર્પોરેશન રચ્યું. તેમના કાળમાં ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો તેનો તેમણે કુનેહપૂર્વક સામનો કર્યોં. તેમણે નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી.

છબીલદાસ મહેતા
ચીમનભાઇ પટેલના આકસ્મિક અવસાન પછી ૧૯૯૪માં છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા. ભાવનગરના મહુવા ગામે ૧૯૨૫માં જન્મેલા છબીલદાસ મહેતાએ સ્વાતંત્રયની લડતમાં તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયત્નો કર્યાં.


કેશુભાઇ પટેલ
ભાજપે ૧૯૯૫ માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૨૨ બેઠકો મેળવી અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. શંકરશિંહ વાઘેલાએ બળવો કરતાં તેમણે મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું. ૧૯૯૮ ની ચૂંટણીમાં ભાજપની જીત થઇ અને માર્ચ, ૧૯૯૮માં તેઓ પુનઃ મુખ્યમંત્રી બન્યા.  

સુરેશચંદ્ર મહેતા
શંકરસિંહ વાઘેલાના બળવા પછી સુરેશચંદ્ર મહેતા રાજ્યના મુખ્યમંત્રી બન્યા.  જોકે તેઓ લાંબો સમય સત્તા પર રહી શક્યા નહિ અને ઓકટોબર ૧૯૯૬માં તેમની સરકારનું પતન થયું.  તેમણે મુખ્યમંત્રી તરીકે ખાસ કોઇ છાપ છોડી નહીં. તેઓ ૨૦૦૨માં ગુજરાત વિધાનસભામાંની ચૂંટણી હારી જતાં તેમની કારકિર્દીને મોટો ફટકો પડ્યો.


શંકરસિંહ વાઘેલા
ભાજપમાંથી મુખ્યમંત્રી તરીકેના પ્રબળ દાવેદાર શંકરસિંહ વાઘેલા ૧૯૯૬માં રાષ્ટ્રીય જનતા પક્ષ સ્થાપીને કોંગ્રેસની મદદથી મુખ્યમંત્રી બન્યા. આશરે  એક વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. પણ તાત્કાલિક નિર્ણયો લઇને તેમણે રાજ્યની પ્રજાને પ્રજાને પ્રભાવિત કરી અને એક મજબૂત અને મક્કમ નેતા તરીકેની પોતાની ઓળખને સુદ્દઢ કરી.

દિલીપભાઇ પરીખ
માત્ર ચારેક મહિના માટે  મુખ્યમંત્રીપદે રહેનાર દિલીપભાઇ પરીખ અત્યંત પ્રવાહી અને અનિશ્ચિત રાજકીય પરિસ્થિતમાં ખાસ કશું કરી શક્યા નથી. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી ઓછો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો વિક્રમ તેમના નામે છે. તેઓ શંકરસિંહ વાઘેલાની ઘણી નજીક હતા. અને અકસ્માતે મુખ્યમંત્રી બન્યા.



નરેન્દ્ર મોદી
કેશુભાઈ બાદ નરેન્દ્ર મોદીએ એક લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમનું વ્યક્તિત્વ ઘણું આકર્ષક અને વકતૃત્વ પ્રભાવક. ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના સૂત્ર તળે તેમણે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરીને ગુજરાતમાં કરોડો રૂપિયાનું મૂડી રોકાણ આકર્ષિત કરવામાં સફળતા મેળવી. કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આઈટી, વગેરે ક્ષેત્રે તેમણે નવી નવી પહેલ કરી. માર્કેટિંગમાં માહેર. પ્રજા અને પક્ષ બન્ને પર એકસરખી પકડ. જે માને તે કરે અને જે કરે તે લોકોને મનાવીને જ રહે.



આનંદીબહેન પટેલ
મોદીના વડાપ્રધાન બન્યાં બાદ આનંદીબહેન પટેલને ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાની તક મળી. તેમણે પોતાને બે વર્ષના કાર્યકાળમાં કામ ઘણું કર્યું પણ કદાચ સમય અને નસીબ તેમની ફેવરમાં નહોતું. પહેલાં પાટીદારોનું આંદોલન તેમને નડ્યું અને બાકી હતું તે દલિતો પર થયેલા અત્યાચારોએ પૂરું કર્યું. કમનસીબી એવી કે ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી પોતાનો ત્રણેક વર્ષનો કાર્યકાળ પણ પૂરો ના કરી શક્યાં. 



વિજયભાઈ રૂપાણી
આનંદીબહેનના રાજીનામા પછી તેમના અનુગામી માટે ભારે રહસ્ય રહ્યું. છેવટે વિજયભાઈ રૂપાણીને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પાટીદાર આંદોલન અને દલિતોના પ્રત્યાઘાત તેમને ઝિલવાના છે. તેમની સાથે નીતિનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમનું નામ મુખ્યમંત્રી તરીકે બોલાતું હતું. તેઓ અનુભવી મંત્રી છે.