શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (15:42 IST)

સૌરાષ્ટ્રમાં ૪૮માંથી ૨૮ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય, માત્ર ૧૯ બેઠકો પર ભાજપ જીત્યું

ગુજરાતમાં ભલે સત્તાસ્થાને ભાજપ આવ્યો હોય, સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડયો છે અને કોંગ્રેસનું 'નવસર્જન' થયું છે. સૌરાષ્ટ્રની કુલ ૪૮ બેઠકો પૈકી ૨૮ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. જયારે ભાજપનાં ફાળે માત્ર અને માત્ર ૧૯ બેઠકો આવી છે. કુતિયાણાંની એક બેઠક એનસીપીનાં ફાળે ગઈ છે. ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ૧૧ બેઠકોનું નુકસાન થયું છે. જ્યારે કોંગ્રેસને ૧૩ બેઠકોનો ફાયદો થયો છે. પેટા ચૂંટણીનાં પરિણામોને પણ લક્ષમાં લઈએ તો ભાજપને ૧૬ બેઠકોનું નુકસાન થયું છે અને કોંગ્રેસને ૧૮ બેઠકોનો ફાયદો થયો છે. આમ, સૌરાષ્ટ્રમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં જનાધારનું નોંધપાત્ર ધોવાણ થયું છે.

સૌરાષ્ટ્રમાં ભાજપનાં મુખ્યમંત્રી વિજય રૃપાણીની રાજકોટ પશ્ચિમની બેઠક ઉપર ૫૩ હજારથી પણ વધારે મતોથી જીત થઈ છે તો ભાજપનાં અન્ય છ મંત્રીઓ પૈકી ચીમનભાઈ સાપરીયા જામજોધપુરની બેઠક પરથી, આત્મારામભાઈ પરમાર ગઢડાની બેઠક પરથી તથા જશાભાઈ બારડ સોમનાથની બેઠક પરથી હારી ગયા છે. જ્યારે પોરબંદરની બેઠક પરથી બાબુભાઈ બોખિરીયા, જેતપુરની બેઠક પરથી જયેશ રાદડિયા અને ભાવનગર ગ્રામ્યની બેઠક પરથી પુરૃષોતમભાઈ સોલંકીની જીત થઈ છે. આમ ભાજપનાં મુખ્યમંત્રી સહિત કુલ ૭ મંત્રીઓ પૈકી ત્રણની હાર અને ચારની જીત થઈ છે. સૌરાષ્ટ્રમાં ભાજપનાં ૨૦ ધારાસભ્યો પૈકી ૧૦ હારી ગયા છે, જ્યારે ૧૦નો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનાં ૯ ધારાસભ્યો પૈકી ૩ની હાર થઈ છે. અને ૬ની જીત થઈ છે. આમ ૫૦ ટકાથી વધુ ધારાસભ્યો કોંગ્રેસનાં જીત્યા છે. જ્યારે ભાજપને ફટકો પડયો છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર ફેકટર અસરકર્તા નિવડયું છે. હાર્દિક પટેલની જંગી સભાઓ તેમ જ ખેડૂતોનાં પ્રશ્નોનાં કારણે ભાજપને નુકસાની સહન કરવી પડી છે. પાટીદાર મતોથી પ્રભાવિત કુલ ૨૭ બેઠકો પૈકી ૧૬ બેઠક કોગ્રેસે કબ્જે કરી છે, જ્યારે ૧૧ બેઠક ભાજપનાં ફાળે ગઈ છે. મહત્વની બાબત એ છે કે, પાટીદાર મતોથી પ્રભાવિત હોય અને ભાજપનાં કબ્જામાં હોય તેવી ૭ બેઠકો કોંગ્રસે ભાજપ પાસેથી ખૂંચવી લીધી છે. પાટીદારોની નારાજગીનાં કારણે સૌરાષ્ટ્રમાં ૭ થી ૮ બેઠકો ભાજપે ગુમાવી પડશે તેવી ગણતરી પહેલેથી જ મૂકાતી હતી તે સાચી પડી છે. પાટીદાર ફેકટર ઉપરાંત ખાસ કરીને ગ્રામ્ય પ્રજાની, ખેડૂતોની સરકાર પ્રત્યે નારાજગી, જીએસટીને લઈને વેપારીઓને મૂશ્કેલી, એન્ટી ઈન્કમ્બન્સી પણ કેટલીક બેઠકો ઉપર ભાજપને નડયાં છે. અમરેલી, ગીર સોમનાથ, મોરબી જિલ્લામાંથી ભજપનો સફાયો થઈ ગયો છે. જૂનાગઢ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાંથી ભાજપને માત્ર ૧-૧ બેઠક મળી છે. જામનગર દ્વારકા જિલ્લામાંથી ભાજપને ધારણાં મૂજબ ફાયદો નથી મળ્યો માત્ર રાજકોટ અને ભાવનગર જિલ્લાએ ભાજપનાં સૂપડા સાફ થતાં અટકાવ્યા છે. રાજકોટ શહેરની ત્રણે અને જામનગરની બન્ને બેઠકો ભાજપને ફાળે ગઈ છે જ્યારે આ બન્ને શહેરોને લાગુ ગ્રામ્ય વિસ્તારોની બેઠકો કોંગ્રેસે કબ્જે કરી છે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ પ્રત્યે મતદારોની નારાજગી સ્પષ્ટ ઉભરી આવી છે. રાજકોટ, જામનગર, પોરબંદર અને ભાવનગરના મતદારો ભાજપ તરફી રહ્યા છે જ્યારે જૂનાગઢ, મોરબી, અમરેલીના મતદારો કોંગ્રેસ તરફ વળ્યા છે. આમ શહેરી વિસ્તારોની ભાજપની મજબૂત વોટ બેન્કમાં ભાગ પડાવવામાં કોંગ્રેસ સફળ રહી છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોએ અપસેટ પણ સર્જ્યા છે. જૂનાગઢમાં સળંગ ૩૦ વર્ષથી ધારાસભાની ચૂંટણી જીતતા અને અપક્ષ ઉભા રહે તો પણ જીતી જાય તેવી છાપ ધરાવતા મહેન્દ્ર મશરૃની હાર થઈ છે. જામનગરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ગ્રામ્ય વિસ્તારની બેઠક પર લડતા રાઘવજી પટેલ પણ હારી ગયા છે. ધોરાજીમાં ભાજપે સીટીંગ ધારાસભ્યની ટિકિટ કાપી હરીભાઈ પટેલ જેવા ધરખમ ઉમેદવારને લડાવ્યા છતાં તેમની સામે કોંગ્રેસ તરફથી લડતા એક સમયના પાસના કન્વીનર લલીત વસોયાનો વિજય થયો છે. મોરબીમાં સતત છ ટર્મથી ચૂંટણી લડતા અને જીતતા કાન્તી અમૃતિયા હારી ગયા છે. બેઠક બદલાવી ધારી બેઠક પરથી ચૂંટણી લડતા અમરેલીના દિલીપ સંઘાણીનો પણ પરાજય થયો છે. એ જ રીતે રાજકોટ ગ્રામ્યની બેઠક પરથી લડતા કોંગ્રેસના મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયા હારી ગયા છે. જ્યારે રાજુલાની બેઠક પરથી સતત પાંચમી વખત લડનારા ભાજપના હિરાભાઈ સોલંકીની પણ હાર થઈ છે. સૌરાષ્ટ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૯ સભાઓ કરી હતી, આ પૈકી પાંચ સભા સ્થળ મત વિસ્તારમાં કોંગ્રેસને જીત મળી છે. જ્યારે માત્ર ચાર સ્થળે ભાજપનો વિજય થયો છે. એ જ રીતે કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ અને હવે અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૧૦ મત વિસ્તારમાં જાહેર સભાઓ કરી હતી. આ પૈકી ૭માં કોંગ્રેસ અને માત્ર ૩માં ભાજપે જીત મેળવી છે. એ જ રીતે સૌથી ઓછુ મતદાન થયું હોય તેવી ૧૦ બેઠકો પૈકી ૬ બેઠકો પર કોંગ્રેસનાં ૩ બેઠકો પર ભાજપનાં અને એક બેઠક ઉપર એનસીપીનાં ઉમેદવાર જીત્યા છે. જ્યારે સૌથી વધુ મતદાન થયું હોય તેવી ૧૦ બેઠકો પૈકી ૮ બેઠકો ઉપર કોંગ્રેસનાં અને ૨ બેઠકો ઉપર ભાજપનાં ઉમેદવારનો વિજય થયો છે. આમ એ બાબત સ્પષ્ટ બની છે કે, વધુ મતદાન થયું હોય કે ઓછુ મતદાન ફાયદો કોંગ્રેસને થયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભાજપ અને કોંગ્રેસ તરફથી છ મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. આ પૈકી ભાજપના ૪ મહિલા ઉમેદવારો જીતી ગયા છે. જ્યારે કોંગ્રેસના બે પૈકી એકની હાર અને એકની જીત થઈ છે.