બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2017 (12:53 IST)

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈનકાર

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી લડવાથી ઇન્કાર કરી દીધો છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા હજુ પ્રથમ યાદી પણ જારી કરવામાં આવી નહોતી ત્યારે ગુજરાત કોંગ્રેસના 'કેપ્ટન' ભરતસિંહ સોલંકીએ આ ઘટસ્ફોટ કરતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક શરૃ થઇ ગયા છે. ભરતસિંહ સોલંકીનો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠક ખાતેથી પરાજય થયો હતો.

૨૦૧૫થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની કામગીરી અદા કરી રહેલા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 'હું અગાઉ જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નહીં લડવાની જાહેરાત કરી ચૂક્યો છું. મારા અંગે એવા મનઘંડત અહેવાલો પણ જારી કરવામાં આવ્યા છે કે હું પાર્ટીના હાઇકમાન્ડથી નારાજ છું અને દિલ્હી ખાતે ગત સપ્તાહે સેન્ટ્રલ ઇલેક્શન કમિટિની બેઠક અધવચ્ચેથી છોડીને નીકળી ગયો હતો. પાર્ટીના હાઇકમાન્ડથી નારાજ થવાનો સવાલ જ પેદા થતો નથી. કોંગ્રેસ પક્ષે મારા માટે ઘણું કર્યું છે. કોંગ્રેસની ટિકિટ પરથી હું બે વખત સાંસદ તરીકે ચૂંટાયો હતો અને ત્રણ મંત્રાલયમાં સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો. ' વિધાનસભાની ચૂંટણી નહીં લડવાથી તેઓ હવે ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનવાની રેસમાંથી નીકળી ગયા છે કે કેમ તેના પ્રતિઉત્તરમાં ભરતસિંહે જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય હાઇકમાન્ડ દ્વારા જ લેવામાં આવશે. તેઓ જે પણ નિર્ણય લેશે તે યોગ્ય જ હશે.