બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (16:38 IST)

સુરતમાં કૌભાંડી નીરવ મોદીના કરોડોના વ્યવહારોની તપાસમાં ED, CBI, IT બાદ DRI જોડાઈ

પંજાબ નેશનલ બેંકનો કૌભાંડી નીરવ મોદી, તેના મામા અને ગીતાંજલિ જેમ્સના માલિક મેહુલ ચોકસીની સામે સુરતમાં સાત જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીના કેસમાં રોજ નવી એજન્સીઓ તપાસમાં જોતરાઈ રહી છે. ઇડી, આઇટી અને સીબીઆઇ બાદ હવે ડીઆરઆઇની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. સાતેય સ્થળો પરથી કરોડો રૂપિયાના હીરા અને ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે નીરવ મોદીની પાંચ કંપનીઓ સીઝ કરવામાં આવી છે. 

અધિકારીઓએ સેઝમાં આવેલી નીરવ મોદીના પાંચેય યુનિટ કે જ્યાં અગાઉ ઇડી તપાસ કરી ચૂકી હતી ત્યાં ફરી એકવાર  તપાસ કરી છે. ઇડીએ જ્યાં સ્ટોક સીઝર પર ધ્યાન આપ્યુ હતું, ત્યાં ડીઆરઆઇએ આયાત-નિકાસના ડોક્યુમેન્ટ ચકાસ્યા હતા. કેટલો રફ ડાયમંડનો જથ્થો આવ્યો અને ગયો એનો હિસાબ કાઢવાના પ્રયાસ શરૂ કર્યા હતા. એક ટીમ હજી આ કાગળોની ચકાસણી કરી રહી છે. દરમિયાન ગીતાંજલિની મહિધરપુરા અને વરાછામાં આવેલી બે ઓફિસ પર પણ તપાસ કરાઈ છે. જેમાં આયાત-નિકાસ સંબંધિત ડોક્યુમેન્ટ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા સાત જગ્યાએ તપાસ શરૂ કરવામાં આ‌વી છે. જેમાં મહિધરપુરાની યુનિટ પર આઇટી પણ તપાસ કરી રહ્યુ છે. સાતેય સ્થળો પરથી આયાત-નિકાસ સંબંધિત કરોડોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હોવાનું અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે. મોટાપાયે ડયૂટી ચોરી કરવામાં આવી છે. સેઝની યુનિટમાંથી 1200 કરોડના ડાયમંડ બારોબાર લોકલ માર્કેટમાં વેચી દેવાયા છે. તેની જગ્યાએ હલકી કક્ષાના ડાયમંડ એક્સપોર્ટ કરાયા છે.