બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (14:28 IST)

ગુજરાત સરકારે બિનઅનામત આયોગની રચનાને મંજૂરી આપી

આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે બિન અનામત આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે. ગઈકાલે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આગેવાનો સાથે થયેલી મુલાકાત બાદ આજે મળેલી કેબિનેટ મિટિંગમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા. જેમાં પાટીદારો પર થયેલા પોલીસ દમનની તપાસ કરવા પંચ નિમવા ઉપરાંત પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવા પણ વિચારણા કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.ડે. સીએમ નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે બિન અનામત શૈક્ષણિક વિકાસ નિગમની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર વિદેશ જવા ઈચ્છતા બિનઅનામત વર્ગના લોકોને ઓછા વ્યાજે લોન આપશે તેવી જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પાસના સભ્યો સાથે ચર્ચાયેલા મુખ્ય મુદ્દાની પણ ચર્ચા પણ આજની કેબિનેટ બેઠકમાં થઈ હતી.ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સરકારે પાટીદારોને મનાવવાના પ્રયાસો શરુ કરી દીધા છે. જેના ભાગરુપે ગઈ કાલે ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સાથે નીતિન પટેલની અધ્યક્ષતામાં સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં પાટીદારોએ પોતાનો પક્ષ રજૂ કરી પોતાની માગો અંગે ચર્ચા કરી હતી. ગઈ કાલે જ સરકારે પાટીદારોની માગણીને ધ્યાને લઈ ઘટતું કરવાની ખાતરી આપી હતી.રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ટાંકણે આવીને ઉભી છે ત્યારે મતદારોમાં 13% જેટલો વોટશેર ધરાવનાર પાટીદારોને પોતાના તરફી કરવા માટે ભાજપ-કોંગ્રેસે કમરકસી છે. એકબાજુ પાટીદાર વર્ચસ્વ ધરાવતા સૌરાષ્ટ્રમાં સરકાર વિરોધી પાટીદારોના ગુસ્સાને કોંગ્રેસી વોટબેંકમાં ફેરવવા માટે રાહુલ ગાંધી રેલી કરી રહ્યા છે તો બીજીબાજુ પાટીદાર આગેવાનો સાથે વાતચીત કર્યા બાદ ભાજપ સરકારે કેટલીક મહત્વની જાહેરાત કરી છે અને પાટીદાર વોટબેંકને પોતાના જ પલડામાં રાખવા માટે પ્રયાસરત છે.મંગળવારે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં સરકાર અને પાસ અને એસપીજીના આગેવાનો તેમજ પાટીદાર સમાજની મહત્વની સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.