શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (15:08 IST)

બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે 82000નો ઘટાડો!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવામાં આવનારી પરીક્ષા માટે પ્રથમ વખત ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યાર સુધી દરવર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળતો હતો. આ વખતે ધો.૧૦માં જંગી ૭૨ હજાર જેટલા વિદ્યાર્થી ગતવર્ષ કરતા ઓછા નોંધાયા છે. ધો.૧૨ સાયન્સમાં ૪ હજાર વિદ્યાર્થીઓ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. આમ, કુલ ૮૨ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. અત્યાર સુધી બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ગતવર્ષ કરતા વધતી હતી. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ વખતે ધો.૧૦માં ૧૦.૮૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯ની પરીક્ષા વખતે ધો.૧૦માં ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, ગતવર્ષ કરતા આ વખતે ધો.૧૦માં ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૦ની પરીક્ષામાં ૧૧.૦૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, ૨૦૧૮ની સરખામણીમાં પણ ચાલુ વર્ષે ૧૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધો.૧૦માં છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રથમ વખત આંકડો ૧૧ લાખ કરતા ઓછો થયો છે. આ પહેલા ૨૦૧૯, ૨૦૧૮ અને ૨૦૧૭માં ધો.૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧ લાખ કરતા વધુ હતી. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે એટલે કે, ૨૦૧૯માં ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૫.૩૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, ગતવર્ષ કરતા આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં માત્ર ૪.૭૬ લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. જ્યારે ધો.૧૨ સાયન્સની વાત કરીએ તો ચાલુ વર્ષે ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯માં ધો.૧૨ સાયન્સમાં ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાયન્સમાં પણ ૪ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. આમ, ધો.૧૦માં ૭૨ હજાર, સાયન્સમાં ૪ હજાર અને સામાન્ય પ્રવાહમાં ૬ હજાર મળી આ વખતે ૮૨ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.