શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (11:46 IST)

કંડલા બંદરે લાંગરેલા ઓઈલ જહાજમાં આગ લાગતાં એકનું મોત, 25નો બચાવ

દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં ખાલી થવા આવેલું ડીઝલ ભરેલું ઓઈલ ટૅન્કર જહાજ ઓટીબીમાં  લાંગરેલું હતું ત્યારે તેમાં એકાએક આગ લાગી હતી. આગ એન્જિન રૂમમાંથી થઈ વેસલ પર ફરી વળી હતી. ડીપીટી અને મરીન વિભાગ દ્વારા 10થી વધુ ખાનગી, સરકારી ટગની મદદથી આગ બુઝાવવા માટે પ્રયાસ શરૂ કરાયા હતા જે મોડી રાત્રે કારગાર સાબિત થયા હતા અને આગ કાબૂમાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે વેસલ પર 26 લોકો સવાર હતા, જે તમામને બહાર લાવી ચૂકાયા છે, જેમાંથી બે આંશિક રીતે દાઝી ગયા હતા.


દાઝી ગયેલા પૈકી એક મેનલીન ફર્નાન્ડો નામના ક્રૂ મેમ્બરનું સારવાર દરમિયાન મોત થયું હતું. વેસલમાં 30 હજાર એમટી ડીઝલ ભરેલું છે અને મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. બુધવારના સાંજે 6:30 વાગ્યાના અરસામાં મુંબઈથી ડિઝલ ભરીને દીનદયાલ પોર્ટ, કંડલા આવી પહોંચેલું ભારતનો ફ્લેગ ધરાવતું જીનોસા ટેન્કર જહાજ પોર્ટમાં બર્થીંગ કરવા માટે વેઈટિંગ હોવાથી ઓટીબીમાં લાંગરેલું હતું ત્યારે એકાએક તેના એન્જિન રૂમમાંથી ધુમાડા ઉઠવા લાગ્યા હતા. મશીનની કામગીરી દરમ્યાન ઘર્ષણના કારણે આવું થઈ રહ્યા હોવાનું માની ક્રૂ મેમ્બર સ્થળ પર પહોંચ્યા ત્યારે આગની જ્વાળાઓ કાબૂ બહાર હોવાનું પ્રતિત થતાં આ અંગે નજીકના બંન્ને પોર્ટ ડીપીટી અને અદાણીને મેસેજ કર્યા હતા. મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવા ફોમ અને પાણી વડે પ્રયાસ ચાલ્યા હતા. આ શીપના એજન્ટ કંપની એટલાંટ શીપીંગનો સંર્પક કરતા તેમણે જહાજ મુંબઈથી આવ્યું હોવાનું અને અંદર 30 હજાર એમટી ડીઝલ ભરેલું હોવાનું જણાવ્યું હતું. પોલીસના સુત્રોએ અંદર 26 ક્રૂ મેમ્બર ઘટના સમયએ સવાર હોવાનું અને તેમાંથી બે આંશિક દાઝી ગયા હોવાથી સારવાર અર્થે કંડલા ખસેડાયાનું અને બાકી તમામ સલામત હોવાનું જણાવ્યુ હતું. તો દાઝી ગયેલા પૈકી એકનું મોત નિપજ્યું છે.