શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (17:25 IST)

ગેરકાયદે સિંહદર્શન કર્યાના આરોપ હેઠળ રામકથાકાર મોરારીબાપુ વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી

જાણિતા રામકથાકાર મોરારિબાપુની રામકથા હાલ જૂનાગઢમાં ચાલી રહી છે, ત્યારે તેઓ ડુંગરપુર વિસ્તારમાં જંગલમાં વિહરી રહ્યાં હતા ત્યારે તેમનાથી સાત ફૂટ દૂર એક સાવજ રસ્તા વચ્ચે નિદ્રાધીન અવસ્થામાં હતો. બાપુએ પણ એ ઘડીને નિહાળવા માટે ત્યાં જ આસન જમાવી દીધું હતું અને સિંહને નિદ્રામાં કોઇ વિક્ષેપ ન પડે તેવું કર્યું હતું. જોકે, થોડીવારમાં સિંહને ત્યાંથી તગેડી દેવામાં આવ્યો હતો અને બાદમાં બાપુ પણ પોતાના માર્ગે આગળ વધી ગયા હતા. બાપુ અને સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

જોકે, હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે મોરારિબાપુ અને વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગેરકાયેદસર સિંહ દર્શન કર્યાની અરજી દાખલ કરવામાં આવી છે. માહિતી અનુસાર પોરબંદરના વકીલ ભનુ આડોદરાએ ગુજરાત હાઇકોર્ટ અને તકેદારી વિભાગમાં અરજી કરી છે, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છેકે, કથાકાર મોરારિબાપુએ જૂનાગઢના ગીર અભ્યારણમાં ગેરકાયેદસર સિંહ દર્શન કર્યા છે. બાપુને ગેરકાયેદસર સિંહ દર્શન કરાવનાર વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.  સિંહને નિહાળ્યો હોવાનો ઉલ્લેખ બાપુએ પોતાની ચાલી રહેલી રામકથા દરમિયાન પણ કર્યો હતો અને કહ્યું હતું કે મારી ઇચ્છા સાવજની નજીક જવાની હતી, પરંતુ મને કોઇએ જવા દીધો નહીં. જો મને જવાની તક મળી હોત તો હું સિંહ પર હાથ ફેરવત.