શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (14:18 IST)

ગુજરાતમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ, રાજ્યમાં માવઠુ થવાની ભિતી, પાકોને નુકશાન થશે

ગુજરાતમાં હાલ રાત્રે ઠંડી, દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાઇ જ રહી છે ત્યાં હવે આજે વાદળછાયું વાતાવરણ થઇ જતાં મોસમના 'ત્રિવેણી સંગમ' જેવી સ્થિતિ સર્જાઇ છે. આજે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ક્યાંક સાધારણ છાંટા પણ પડયા હતા. હજુ આવતીકાલે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


વાતાવરણમાં અચાનક આવેલા પલટા અંગે હવામાન વિભાગે એક યાદીમાં જણાવ્યું હતું કે, 'પંજાબ અને તેની આસપાસના વિસ્તારમાં ૧.૫ કિલોમીટરે દરિયાઇ ઉંચાઇનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઇ ગયું છે, જે દક્ષિણ રાજસ્થાન સુધી ફેલાયેલું છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હજુ આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. ગુરુવારથી વાદળા વિખેરાઇ જશે અને સમગ્ર રાજ્યમાં વાતાવરણ પૂર્વવત્ થઇ શકે છે. અમદાવાદના એસજી હાઇવે, ગોતા, નારોલ, સહિતના કેટલાક વિસ્તારમાં સાંજે હળવા છાંટા પડયા હતા. વાદળછાયા વાતાવરણથી અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને પારો ૨૮.૧ ડિગ્રી નોંધાયો હતો.

ગત રાત્રિએ અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ૧૧.૬ ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી અને ૩૪ ડિગ્રી સાથે સુરતમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જોકે,કેટલાંક ઠેકાણે વરસાદના છાંટા પડયાના પણ અહેવાલો સાપડયા છે પરિણામે આ વાતાવરણ ખેતી માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. વાદળછાયુ વાતાવરણને લીધે જીરૃ,રાયડો,આંબો,વરિયાળી,અજમો સહિતના પાકોને નુકશાન થઇ શકે છે. સોમવારે વહેલી સવારથી જ અમદાવાદ સહિત આખાય રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું.ઠંડા પવનો સાથે આખુય વાતાવરણ બદલાયુ હતું. બદલાયેલા વાતાવરણને લીધે શિયાળુ પાકને નુકશાન પહોંચી શકે છે. ખેતી નિષ્ણાતો કહે છેકે, આંબાના ઝાડ પર કેરીના ફુલોમાં હોપર મેંગો નામની જીવાત વધી શકે છે.કેરીના ફુલ પણ ખરી શકે છે. આ જ પ્રમાણે,જીરાના પાકને વ્યાપકપણે નુકશાન થવાનો અંદાજ છે.જીરાના પાકમાં ય બ્લાઇટ નામનો રોગ થવાની શક્યતા રહેલી છે. વાદળછાયુ વાતાવરણ રાયડાના પાક માટે પણ અનુકુળ નથી. વરિયાળીમાં ય મોલોમસીનો ઉપદ્રવ વધી શકે છે. દાડમના પાકને પણ આ વાતાવરણ નુકશાન પહોંચાડી શકે છે કેમ કે, ફળમાખી નામની જીવાત થઇ શકે છે. આમ,વાદળછાયુ માહોલ શિયાળુ પાકને નુકશાન પહોચાડી શકે છે તેવી ભિતીને લીધે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.માવઠુ થાય તો ખેતરોમાં ઉભા પાકને નુકશાન થવાનો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે.