શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 મે 2018 (15:20 IST)

શું 10ના સિક્કા ચલણમા છે? આ સવાલે લોકોને અસમંજસમાં મુકી દીધાં

નોટબંધી બાદ ચલણી નોટો કરતાં વધુ અફવાઓ લોકોને પરેશાન કરી રહી છે. ત્યારે 10 રૂપિયાના સિક્કા ચલણમાં છે કે નહીં તે મુદ્દે અસમંજસ ફેલાતાં અનેક વેપારીઓએ 10ના સિક્કા સ્વીકારવાનું જ બંધ કરી દીધુ છે. અમદાવાદ સહિત રાજ્યભરના અનેક પેટ્રોલપંપ પર જો રૂ. ૧૦નાં સિક્કા આપીએ તો આ સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવે છે.  પેટ્રોલપંપ સંચાલકો પણ આ બાબતે બળાપો કાઢતા કહે છે કે અમે જયારે બેંકમાં સિક્કા જમા કરાવવા જઇએ છીએ ત્યારે માત્ર હજાર રૂપિયાના જ સિક્કા સ્વીકારાય છે. 

આટલું જ નહીં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં પણ વેપારીઓ ૧૦ના સિક્કા સ્વીકારવાનું ટાળી રહ્યા છે. જેને લઇને લોકોની પરેશાની સતત વધી છે.  હવે સામાન્ય લોકોને આ સિક્કા વટાવવા ક્યાં? એ સવાલ સતાવી રહ્યો છે. બેંકો સિક્કા સ્વીકારતી નથી ત્યારે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લોકોને મેસેજ કરીને ૧૦નાં તમામ સિક્કાઓ ચલણમાં હોવાની વાતો કરી રહી છે. લોકોએ પોતાની પાસેની આવી નોટો તરત જ બેંકમાં જમા કરાવવા માટે કવાયત શરૂ કરી દીધી.  હવે છેલ્લા ઘણા સમયથી રૂ.૧૦ના સિક્કા ગમે ત્યારે રદ થઇ જશે તેવી અફવાને લઇને વેપારીઓ ૧૦ના સિક્કા સ્વીકારતા બંધ થઇ ગયા છે. ઘણા વિસ્તારમાં તો ૧૦ની સાથે પાંચના સિક્કા પણ સ્વીકારાતા નથી. સિક્કા તો હજુ ચલણમાં જ છે. તો શા માટે તમે સ્વીકારતા નથી? આવો સવાલ પૂછતાં એક જ જવાબ મળે છે કે ‘બેંકો સિક્કા સ્વીકારતી નથી તો અમે આ સિક્કાનું શું કરીએ?