શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (13:21 IST)

ભાજપના ધારાસભ્યો ગભરાયા, ટિકીટ મળશે કે પત્તુ કપાશે?

ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૧૮૨ સીટોની ટિકિટ માટે લગભગ ૩૨૦૦ લોકોના બાયોડેટા મળ્યા છે. આ કારણે વર્તમાન ૧૨૨ ધારાસભ્યો ચિંતામાં મુકાયા છે. લગભગ બે ડઝનથી વધારે સીનિયર કાર્યકર્તાઓએ પણ ટિકિટની માંગ કરી છે. ત્યારે કોને ટિકિટ મળશે અને કોને નહીં તે એક મહત્વનો અને ચિંતાનો વિષય બન્યો છે. અત્યારે પાર્ટીના નેતાઓ ગૌરવ યાત્રામાં વ્યસ્ત હોવાને કારણે ટિકિટ વિષે આગળ ચર્ચા નથી કરી. દિવાળી પછી પાર્ટીના મોટા નેતાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ દરેક સીટ માટે ૩ ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે. નોમિનેશન ફાઈલ કરવાના થોડાક દિવસ પહેલા જ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ઉમેદવારોનું સિલેકશન કરવામાં આવશે. ઉત્તર ગુજરાતના એક પાટીદાર ધારાસભ્ય જણાવે છે કે, કોંગ્રેસ ચોકકસપણે ટિકિટ આપવાનું કહી રહી છે, જયારે ગોરધન ઝડફિયા જેવા નેતાઓ જેમને પહેલા ટિકિટ નહોતી આપવામાં આવી અને ફરીથી પાર્ટીમાં જોડાયા છે તે પણ ટિકિટ માંગી રહ્યા છે. આ બધા કારણોસર ધારાસભ્યો અત્યારે મુંઝાયા છે. ૨૦૦૭ અને ૨૦૧૨માં અડધોઅડધ કાર્યરત ધારાસભ્યોને ટિકિટ નહોતી આપવામાં આવી. બની શકે કે આ વખતે પાટીદારોનો વિરોધ, વિકાસના પ્રશ્નો અને અન્ય પરિબળોને કારણે પાર્ટી મહત્ત્।મ નવા ચહેરા લાવવાનો પ્રયત્ન કરે. જેનાથી વોટર્સનો વર્તમાન ધારાસભ્યો સામેનો રોષ મુશ્કેલી ઉભી ન કરે. ૨૦૦૭ અને ૨૦૧૨માં તે સમયના મુખ્યમંત્રી અને અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'નો રીપિટ થીયરી' લાગુ કરી હતી. એક સીનિયર ધારાસભ્ય જણાવે છે કે, દરેક સીટ પર ઘણાં લોકલ લીડર્સે ટિકિટની માંગ કરી છે. માટે આ વખતે હરિફાઈ અઘરી બનશે. અમને ટિકિટ મળશે કે નહીં તે વિષે પાર્ટીએ કોઈ જ સંકેત આપ્યા નથી. અમને લાગે છે કે લગભગ ૭૦-૮૦ ટકા નવા ચહેરા લાવવામાં આવશે.