શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2017 (13:53 IST)

ભાજપની સરકાર કોઈના દિલની વાત સાંભળી શકતી નથી - રાહુલ ગાંધી

આજે રાહુલ ગાંધી ફરીવાર ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મહેમદાવાદના ખાત્રજ ખાતેની સભામાં  રાહુલ ગાંધીએ ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યની સરકાર 22 વર્ષથી ગુજરાતના દિલની વાત સાંભળતી નથી, કોંગ્રેસની સરકાર આવશે તો એ તમારા મનની વાત સાભળશે.   રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસનું પહેલું કામ જે પણ આવે તેની વાત સાંભળવી, વિકાસનું કોઇપણ કામ કરવાનું હોય, સાંભળ્યા વગર તે કરી શકાય નહીં. રાજ્યમાં 22 વર્ષથી જે સરકાર છે એ ગુજરાતના દિલમાં જે અવાજ છે, ખેડૂત, મજૂર, મહિલા કે નાના વેપારીઓ જે કહેવા માગે છે, તે સાંભળી રહી નથી. હું તમારું દર્દ સમજું છું. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે, જે અમારા મનની વાત નહીં પણ તમારા મનની વાત સાંભળશે. રાહુલ ગાંધીએ કહ્યું, જીએસટીએ કોંગ્રેસનો વિચાર છે, આખા ભારતમાં એક ટેક્સ હોવો જોઇએ અને તેની લિમિટ 18 ટકા હોવી જોઇએ. અમે જનતા પાસે ગયા તેમને પૂછ્યું કે તમારે શું જોઇએ છે. તેમને અમને ત્રણ સૂચનો આપ્યા, એક ટેક્સ હોય, ટેક્સ ભરવાનું ફોર્મ એક હોય અને લિમિટ ઓછી હોય. પરંતુ નરેન્દ્ર મોદીએ કોઇને પણ કંઇ પૂછ્યા વગર 24 કલાકમાં રાત્રે 12 વાગ્યે જીએસટી લાગુ કરી દીધી. ભાજપે તમારા મનની વાત સાંભળી નહીં, અમારી વાત પણ સાંભળી નહી. 28 ટકા ટેક્સ લાગુ કર્યો, પાંચ અલગ-અલગ ટેક્સ, દરેક પ્રદેશમાં જીએસટી નંબર લો, ટેક્સ ભરવા માટે ત્રણ-ત્રણ ફોર્મ ભરવા પડે છે. એક નાનો વેપારી મહિનામાં ત્રણ ફોર્મ કેવી રીતે ભરી શકે. જેનું કારણ એ થયું નાના વેપારીઓ ખતમ થઇ ગયા, બેરોજગારી વધી અને નુક્સાન થયું. નોટબંધી વખતે પણ મોદીએ કોઇને પૂછ્યું નહીં, લાખો લોકોએ નુક્સાન કર્યું.