બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By

અકબર બીરબલ વાર્તા - બીરબલના બાળકો

એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેટલા હોંશિયાર છે? આ પ્રશ્નનું નિરાકરણ કરવાનું અકબરે વિચાર્યું.

એક દિવસ જ્યારે બિરબલ કોઈ કામ માટે બહારગામ ગયો હતો ત્યારે ‍અકબરે બિરબલનાં ઘરે જઇને તપાસ કરવાનું નક્કી કર્યું.

અકબર બિરબલનાં ઘરે ગયો ત્યારે બિરબલનાં ઘરનાં વરંડામાં રમી રહેલ બિરબલનો મોટો પુત્ર અકબરને જોઇને બોલ્યો "આ આવ્યો"

ત્યારે નાનો પુત્ર બોલ્યો "પરંતુ તેને નથી" અને અંતે બિરબલની દિકરી બોલી "એ તો કોઇ ને હોય અને કોઇને ન હોય"

અકબર રાજા બિરબલનાં બાળકોની આ પ્રકારની વાતો સમજી શક્યાં નહીં. અને તે ત્યાંથી જ રાજદરબારમાં પરત ફર્યા. અકબર આખી રાત બિરબલનાં બાળકોની વાતચીત પર વિચાર કરતો રહ્યો. તેને ઉંઘ ન આવી. બીજા દિવસે દરબારમાં દરબારીઓને આ ત્રણેય વાક્યોનો અર્થ પુછ્યો.

દરબારમાંથી કોઇ પણ બિરબલનાં બાળકોની વાતચીતનો યોગ્ય અર્થ ન જણાવી શક્યું. અંતે અકબરે બિરબલને પુછ્યું ત્યારે બિરબલ બધુ સમજી ગયો.

બિરબલે અકબરને પૂછ્યું "તમે કોઇનાં ઘરમાં પૂછ્યા વગર પ્રવેશ કર્યો હતો? "

અકબરે કહ્યું "હા બિરબલ, પરંતુ તું મને આ ત્રણ વિચિત્ર વાક્યોનાં અર્થ સમજાવ." ત્યારે બિરબલ બોલ્યો, મહારાજ પ્રથમ વાક્ય "આ આવ્યો" નો અર્થ થાય કે..."આ ગઘેડો આવ્યો" કારણ કે મહારાજ તમે તે ઘરનાં સભ્યોને પૂછ્યા વગર તેનાં ઘરમાં પ્રવેશ કર્યો હતો. સાચુને? અકબરે કહ્યું હા બરાબર છે.

બિરબલે બીજું વાક્ય "પરંતુ તેને નથી" નો અર્થ કહ્યો કે..."પરંતુ તેને પુછડું નથી"

અને ત્રીજું વાક્ય "એ તો કોઇ ને હોય અને કોઇને ન હોય"નો અર્થ "પૂછડું કોઇને હોય કોઇને ન હોય"

બિરબલનાં જવાબ સાંભળીને અકબર રાજાને ખાત્રી થઇ ગઇ કે બિરબલનાં બાળકો પણ બિરબલ જેવા જ ચતુર અને હાજર જવાબી છે. ત્યાર બાદ અકબરે કદી પણ બિરબલનાં બાળકોની બુદ્ધિની ખાત્રી કરવાનો પ્રયત્ન ન કર્યો.