શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : સોમવાર, 21 મે 2018 (12:24 IST)

શહીદ યાત્રાના નામે પાટીદાર આંદોલન પાર્ટ-2 શરૃ થશે, હાર્દિક પટેલ ભાગ નહી લે

ગુજરાતમાં ફરી અનામતનુ ભૂત ધૂણશે કેમ કે,પાટીદાર આંદોલનકારીઓ ફરી એકવાર ભાજપ સરકાર સામે મેદાને પડયાં છે.પાટીદાર આંદોલનમાં પોલીસની ગોળીથી માર્યા ગયેલાં શહીદોના નામે ઉંઝાથી કાગવડ સુધીની શહીદયાત્રાનું આયોજન કરાયુ છે.જોકે,પાસના નેતાઓએ આંદોલનકારી હાર્દિક પટેલની જ બાદબાકી કરી નાંખી છે.આમ,અનામતની માંગને આગળ ધરી પાટીદારોએ શહીદયાત્રા યોજતાં ભાજપ સરકાર માટે વધુ એક રાજકીય મુશ્કેલી સર્જાઇ છે. એક સમયના હાર્દિક પટેલના પાટીદાર સાથીઓએ જ હવે અનામતની માંગ બુલંદ બનાવવા નક્કી કર્યુ છે.

પાસના નેતાઓઓ એવો નિર્ણય લીધો છેકે, ૨૪મી જૂનથી ઉંઝાથી શહીદયાત્રાનો પ્રારંભ થશે જેમાં પાટીદાર આંદોલન વખતે માર્યા ગયેલા પાટીદાર યુવાઓના પરિવારજનો સામેલ હશે.આ યાત્રા ૯૭ તાલુકાઓમાં ફરીને છેલ્લે કાગવડ પહોંચશે. પાટીદારોની એક જ માંગ છેકે, ભાજપ સરકાર બંધારણિય રીતે પાટીદારોને અનામત આપે.પાટીદારો પર થયેલાં પોલીસ કેસો પાછા ખેંચવામાં આવે.શહીદોના પરિવારજનોને ન્યાય મળે. આ મુખ્ય માંગો સાથે શહીદયાત્રા પાટીદાર સમાજના સામાજિક-ધાર્મિક આગેવાનો ય જોડાશે. મહત્વની વાત એછેકે,સમગ્ર કાર્યક્રમમાં એકેય રાજકારણીને આમંત્રણ આપવામાં આવશે નહીં. શહીદયાત્રા દરમિયાન,સરદારગાથા અને અનામત વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.પાટીદાર આયોજકોનો દાવો છેકે, શહીદયાત્રાને ૬૦ લાખ લોકો નિહાળશે પરિણામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડના ઓબર્ઝવરને નિમંત્રણ પાઠવવામાં આવનાર છે. આમ,ગુજરાતમાં ફરી એકવાર અનામત આંદોલન પાર્ટ-૩ શરુ થવાની તૈયારીઓ થઇ રહી છે. અનામતની માંગ બુલંદ બનતાં ભાજપ સરકાર માટે પાટીદારોને મનાવવા ફરી રાજકીય મથામણો કરવા મજબૂર થવુ પડશે.