ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (17:45 IST)

ચૂંટણી પૂરી થઈ ગઈ પણ ફી મુદ્દે ભાજપે વાલીઓને છેતર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૃપાણીના ફોટા સાથે ખાનગી શાળાઓમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની ફી રૃા. ૧૫૦૦૦ (પ્રાથમિક) ૨૫૦૦૦ (માધ્યમિક) અને રૃા. ૨૭૦૦૦ (ઉચ્ચ માધ્યમિકના) વિદ્યાર્થીઓની ફી કરી આપ્યાની જાહેરાતો કરીને ચૂંટણીમાં લાભ લઈ લીધા પછી ભાજપ સરકારે ફીના મુદ્દે ગુંલાટ મારીને લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો સ્પષ્ટ મત આજે શિક્ષણ બોર્ડ સમક્ષ કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં પેરેન્ટ્સ એકતા મંચે કર્યો હતો. તેમની આ રજૂઆતોને ધ્યાનમાં લઈ પગલાં ન લેવાય તો મંચ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. વાલીઓ સાથેની છેતરપિંડી ચલાવી લેવાશે નહિ. ગુજરાત સરકારે નક્કી કરેલી રૃા. ૧૫,૦૦૦, ૨૫૦૦૦ અને ૨૭૦૦૦ની ફીના માળખાનો દરેક શાળાઓ પાસે ફરજિયાત અમલ કરાવવો જોઈએ.

ફેબુ્રઆરી ૨૦૧૭માં ગુજરાત સરકારે જ આ ફી નક્કી કરેલી છે. આ ફીનો સરકાર અમલ નથી કરાવતી, બીજી તરફ ગ્રાન્ટેડ શાળાઓ ઓછી કરી રહી છે. તેનો ગેરલાભ લઈ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો મસમોટી ફી ઉઘરાવી રહી છે. સરકાર ગુજરાતના દરેક નાગરિક પાસેથી મિલકત વેરો ઉઘરાવે છે. તેની સાથે ૨૫ ટકા શિક્ષણ ઉપકર વસૂલે છે. આ શિક્ષણ ઉપકર લેવા પાછળનો મૂળભૂત ઉદ્દેશ સસ્તુ અને સારુ શિક્ષણ માટે ખર્ચ કરવાનો છે. પરંતુ આ ખર્ચ કરીને સરકારી શાળાઓમાં સારુ શિક્ષણ આપવામાં આવતું જ નથી. તેથી મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને કમને ખાનગી અને મોંઘી ફી લેતી શાળાઓ તરફ ઘસડાવું પડી રહ્યું છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે ેક ગુજરાત સરકારના અધિકારીઓ અને રાજકારણીઓ ખાનગીશાળાના સંચાલોકો સાથે મળીને ભ્રષ્ટાચાર આચરીને શિક્ષણ વિભાગના ઠરાવોનો અમલ કરવામાં નિષ્ફળ નીવડયા છે. ગુજરાત સરકાર ખાનગી શાળાઓમાં રાઈટ ઑફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન ૨૦૦૯ની જોગવાઈઓનો અમલ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. સરકારે નક્કી કરેલી રૃા. ૧૫૦૦૦, ૨૫૦૦૦ ને ૨૭૦૦૦ની ફી સામે રૃા. ૨૦૦૦૦૦ની ફી લેનારી શાળાઓ પણ છે. તેમની સાથે સરકાર મળેલી છે. તેમની સામે કોઈ જ પગલાં લેવાતા નથી. મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના હિતને ભોગે તેમને સાથ આપવામાં આવી રહ્યો છે. આ શાળાઓ પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને ડ્રો સિસ્ટમથી પ્રવેશ આપવાના નિયમનો પણ ઘોળીને પી ગઈ છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવતી હોવા છતાંય કોઈ જ પગલાં શાળાઓ સામે લેવાતા નથી, કારણ કે શાળાના સંચાલકોને રાજકીય પ્રોટેક્શન મળેલું છે.