શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 જૂન 2018 (15:25 IST)

શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થક BJPમાં મૂર્ખ બન્યાની લાગણી અનૂભવી રહ્યા છે?

કેન્દ્રીય મંત્રી પુરૃષોત્તમ રૃપાલા શુક્રવારના રોજ શંકરસિંહ વાઘેલાને મળવા તેમના ગાંધીનગર સ્થિત ઘરે વસંત વગડો ખાતે પહોચ્યા હતા. ભાજપ સત્તાવાર રીતે રૃપાલાની આ મુલાકાતને સંપર્ક સમર્થન કાર્યક્રમ હેઠળ થઈ હોવાનું જણાવી રહ્યા છે, પણ દસ દિવસ પહેલા શંકરસિંહ વાઘેલા અને શરદ પવાર વચ્ચે મુંબઈ ખાતે થયેલી બેઠક બાદ ભાજપના નેતાઓને ફાળ પડી હોવાને કારણે બાપુ ફરી પોતાના મુળ સ્વભાવ પ્રમાણે કોઈ નવાજુની કરે નહીં તે માટે બાપુ સાથે ભાજપના નેતાઓ સંપર્ક વધારી રહ્યા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું કોઈ દેખીતુ કારણ શંકરસિંહ પાસે ન્હોતુ વાઘેલા જયારે ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા ત્યાર બાદ તેમને કોંગ્રેસે સાંસદ બનાવ્યા, કેન્દ્રીય મંત્રી બનાવ્યા, પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતા બનાવ્યા આમ છતાં અન્યાય થઈ રહ્યો છે તેવી ફરિયાદ કરી

તેમણે કોંગ્રેસ સાથે ફારગતી લીધી હતી, જો કે કોંગ્રેસ છોડતા પહેલા તેમનું પોત રાજયસભાની ચુંટણીમાં જ પ્રકાશ્યુ હતું, કોંગ્રેસ છોડયા પછી બાપુ માનતા હતા કે ભાજપ તેમની કદર કરશે પરંતુ ભાજપે પણ પોતાના સ્વભાવ પ્રમાણે ઉપયોગ કરી તેમને હાથ છોડી દીધો હતો. રાજયના મંત્રીમંડળમાં પણ બાપુના કોઈ માણસોને સમાવવામાં આવ્યા નહીં, જેના કારણે તેઓ પણ બાપુ પાસે પોતાની ફરિયાદ લઈ જતા બાપુ પણ માનતા હતા કે કોઈ રાજયનું રાજયપાલ પદ તેમને મળશે પણ વખાણેલી ખીચડી દાઢે વળગી હતી. આ દરમિયાન બાપુ દસ દિવસ પહેલા મુંબઈ ગયા ત્યારે શરદ પવાર સાથે એક મિટીંગ થઈ હતી. ૨૦૧૯ની ચુંટણીના સંદર્ભમાં ભાજપ સામે રચાઈ રહેલી ધરીમાં શરદ પવારની ભુમિકા મહત્વની છે ત્યારે પવાર અને બાપુ વચ્ચે કઈક રંધાઈ રહ્યુ છે તેવુ ભાજપ માની રહ્યુ છે. આ સ્થિતિમાં બાપુને હળવા પાડવા રૃપાલાને મોકલવામાં આવ્યા હતા, જો કે બાપુએ રૃપાલાની હાજરીમાં પણ પત્રકારોને કહ્યુ કે ભાજપ તેની સિધ્ધી રતન ટાટા અને મુકેશ અંબાણી પાસે લઈ જાય છે પણ તેમણે ખરેખર તો ગરીબો પાસે જઈ તેમની ચાર વર્ષની સિધ્ધીઓ કહેવી જોઈએ, બાપુએ અચાનક આ પ્રકારનો વ્યવહાર કરતા રૃપાલા પણ હેબતાઈ ગયા હતા