શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શુક્રવાર, 10 નવેમ્બર 2017 (13:24 IST)

જો પાંચ ટકા મત વધારે મળે તો કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી જીતી શકે છે

વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી વચ્ચેનું અંતર માંડ ૭ ટકાથી ૧૦ ટકા જ રહ્યું છે. આ અંતર ર૦૧પમાં યોજાયેલી મ્યુ.કોર્પોરેશન, પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ઘટીને સાવ ૪.૫૯ ટકા થઈ ગયું હતું. આથી કોંગ્રેસ હવે વોટશેરમાં ૪ ટકા વધારો કરી શકાય તો વિધાનસભાની ચૂંટણી જીતી શકાય એવું ગણિત લગાવી રહી છે. ભાજપને પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં લગભગ મોટાભાગની સંસ્થાઓ ગુમાવવાનો વારો આવ્યો હતો.

અપક્ષોના રાફડા વચ્ચે પણ ભાજપના મતમાં જો ૧.૨૫ ટકાનો ઘટાડો થવા છતાં કોંગ્રેસને ૩૧માંથી ૨૩ જિલ્લા પંચાયત, ૨૨૧માંથી ૧૫૧ તાલુકા પંચાયત અને ૧૨ પાલિકામાં શાસન મળતું હોય તો વિધાનસભા ચૂંટણીમાં તેની અસર થઈ શકે છે. માટે કોંગ્રેસ પોણા બે વર્ષ પહેલાં સર્જાયેલા ચમત્કારના પુનરાવર્તન દ્વારા નવસર્જન ગુજરાતનું ગણિત ઘૂંટી રહી છે. સંગઠન અને પ્રચારના બળે પ્રત્યેક ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી ઊંચે લઈ જનાર ભાજપ લોકસભા- ૨૦૧૪માં ગુજરાતમાં અધિકાંશ મતદારોનું સર્મથન મેળવવામાં સફળ રહ્યો હતો. કારણ કે વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીથી જ દેશભરમાં મોદી લહેર હતી. જો કે, ત્યાર પછી મોદી વગરના ગુજરાતમાં ભાજપના હાથમાંથી વોટબેન્ક મોટાપાયે સરકી છે.  ગ્રામ્ય વિસ્તારોના જ્ઞાતિ સમીકરણોથી વિપરિત ગુજરાતના શહેરી વિસ્તારોએ વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ પછી કોંગ્રેસને વનવાસ આપ્યો હતો. જે ૧૨ વર્ષને અંતે ૨૦૧૫માં અંશતઃ પુરો થયો છે. સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં તો નાગરિકોને સંખ્યાની દૃષ્ટિએ મજબૂત વિપક્ષ મળ્યો છે. શંકરસિંહ વાઘેલાના બળવા પછી પણ ગુજરાતમાં ભાજપ કરતા કોંગ્રેસ પાસે સૌથી વધુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું બળ છે. બે-ચાર પાલિકાઓને બાદ કરતા તેમના સમર્થકો કોંગ્રેસ શાસિત સંસ્થાઓને તોડી શક્યા નથી.