મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 14 એપ્રિલ 2020 (12:45 IST)

ગુજરાત કોરોના રિકવરીમાં રાષ્ટ્રીય સરેરાશથી પાછળ

કોરોના વાયરસ
દેશમાં કોરોનાના સતત વધતા જતા કેસ અને હવે ભારત પણ ટેન-થાઉઝન્ડ કલબમાં પ્રવેશી જશે તે નિશ્ચિત બન્યું છે. તેમાં રીકવરીમાં દેશમાં કુલ પોઝીટીવ કેસમાં 11.8%નો દર છે પણ ગુજરાત જે હજુ 500 પ્લસ કેસ ધરાવે છે ત્યાં રીકવરી દર 8.7% નોંધાતા લોકોની રોગપ્રતિકારક શક્તિથી લઈને સારવારની અસરકારકતા અંગે પ્રશ્ન ઉભો થાય છે. ગુજરાતમાં 538 પોઝીટીવ (ગઈકાલના) કેસમાં 47 લોકો રીકવર થયા છે જે 8.7% છે.
જે રાષ્ટ્રીય સરેરાશથી ઘણો નીચો છે. શહેર મુજબ જોઈએ તો અમદાવાદમાં 295 દર્દીઓમાં 11 રીકવર થયા છે જે 3.7% નો દર છે. વડોદરામાં 6.8% ગાંધીનગર, સુરત, રાજકોટમાં અનુક્રમે 46, 21 અને 38% દર્દીઓ રીકવર થયા છે. રાજકોટ જીલ્લાના આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડારીના જરાવ્યા મુજબ રાજકોટમાં એક સિવાયના અન્ય તમામ દર્દીઓ કોઈ ગંભીર મેડીકલ હીસ્ટ્રી ધરાવતા ન હતા એટલે કે તેઓ યુવા, તંદુરસ્ત હતા. ઉપરાંત રાજકોટમાં 100થી વધુ મેડીકલ, પેરામેડીકલ, કર્મચારીઓ રાત-દિવસ એક કરે છે.
એક 75 વર્ષની મહિલા બીપી, ડાયાબીટીસ અને અન્ય વૃદ્ધાવસ્થાના રોગથી પીડાતા હતા છતાં તેઓ રીકવર થયા. દરેક પોઝીટીવ કેસમાં 10.14 દિવસની સારવાર અને સતત બે નેગેટીવ કેસ આવે પછી જ તેને ડીસ્ચાર્જ કરાય છે. ગુજરાતમાં કોરોના સામેના જંગથી જાણીતા ચહેરા બનેલા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે રીકવરી નીચી હોય તેનું એક કારણ ઉંચો મૃત્યુદર છે. દર્દીનું આરોગ્ય અને તેની રોગપ્રતિકારક શક્તિ પણ નોંધાય છે. જો રોગ પ્રતિકારક શક્તિ નબળી હશે તો તેની રીકવરીમાં મુશ્કેલી હશે.