1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ

વાળની સમસ્‍યા

વાળની સમસ્‍યા
વર્ષોથી સ્‍ત્રીની સુંદરતામાં તેના સુંદર ચહેરાની સાથે-સાથે તેના કાળા, લાંબા તથા રેશમી વાળ ચાર ચાંદ લગાવીને સોનામાં સુંગધ ભેળવે છે. સ્‍ત્રીઓના સોળ શણગારમાં વાળનું વિશેષ મહત્‍વ છે. કાળા, લાંબા તથા રેશમી વાળ દરેક સ્‍ત્રીનું સ્‍વપ્નું હોય છે. પરંતુ ખોડો અને ખરતા વાળની સમસ્‍યાના કારણે આ શક્ય નથી બનતું. અને આ સમસ્‍યાના કારણે મહિલાઓ મૂંઝવણ અનુભવતી હોય છે.

ખોડો અને ખરતા વાળની સમસ્‍યાને થોડી કાળજી રાખવાથી દૂર કરી શકાય છે પરંતુ ત્‍યાર પહેલા આપણે આપણા વાળ વિશે થોડુ જાણીએ. એક સ્‍વસ્‍થ વ્‍યક્તિના માથામાં એક મહિનામાં લગભગ એક ઇંચ જેટલા વાળ વધે છે, અને પ્રતિદિન આશરે પ૦ થી ૭૦ વાળ માથા માંથી ખરી જાય છે. જો આ પ્રમાણ કરતા વધારે પ્રમાણમાં વાળ ખરવા લાગે તો તે ચિંતાનો વિષય છે. અને ત્‍યારે વાળ માટે યોગ્‍ય કાળજી રાખવી જરૂરી બને છે.

વાળ ખરવાના ઘણા બધા કારણો છે. પરંતુ મુખ્‍યત્‍વે ખોડાના કારણે વધારે પ્રમાણે વાળ ખરે છે. ખોડાના મુખ્‍ય બે પ્રાકાર છે- સૂકો ખોડો અને તૈલી ખોડો.

જેમની ત્‍વચા સૂકી હોય તેમને સૂકો ખોડો થાય છે. આ ખોડામાં ખોડો નાની નાની ફોતરીના સ્‍વરૂપમાં માથાનાં વાળમાં દેખાય છે, વળી વાળ ઓળાવતી વખતે તે માથા માંથી ખભા પર પણ ખરે છે. સાથે-સાથે થોડી ઘણી ખંજવાળ પણ આવ્યા કરે છે. જ્યારે તૈલી ખોડામાં ખોડો માથાની ત્‍વચા ઉપર ગોળ-ગોળ નાના ચકરડાના સ્‍વરૂપમાં ફેલાયેલો રહે છે. વધારે અસર થાય તો આંખો પરની ભ્રમર પર પણ ફેલાઇ જાય છે. આ ખોડામાં ખૂબજ ખંજવાળ આવ્‍યા કરે છે. વધુ ખંજવાળવાથી માથામાં ચાંદા પણ થઇ શકે છે.

આજના મશિન યુગમાં માનસિક ચિંતા, થાક, અનિયમીત અને અયોગ્ય આહાર વગેરે જેવી બાબતો માથાના વાળ ખરવામાં મુખ્‍ય હોય છે. નીચેની બાબતોનું ધ્‍યાન રાખવાથી તમે તમારા વાળની સમસ્‍યાથી મુક્ત થઇ શકો છો.
લગભગ બધીજ સમસ્‍યાનું મૂળ યોગ્‍ય સફાઇનો અભાવ હોય છે. માટે વાળની યોગ્‍ય સફાઇ જરૂરી બને છે. શક્ય હોય તો રોજ અથવા બે દિવસે એક વખત વાળ ધોવા જોઇએ.

વાળને ધોવા માટે હર્બલ ટેકનીકનો ઉપયોગ કરવો જોઇએ જેમ કે અરીઠા અને શિકાકાઇ. શેમ્‍પુનો ઉપયોગ ઓછો કરવો જોઇએ અને ઉપયોગ કરો તો તે કોઇ સારી બ્રાન્‍ડનો હોય તે જરૂરી છે. વારંવાર બ્રાન્‍ડ બદલાવવી યોગ્‍ય નથી.
હંમેશા વાળને ધોતા પહેલા માથામાં નાળીયેરના તેલથી માલિશ કરવું જોઇએ.

જેમની ત્‍વચા સૂકી હોય તેમણે નિયમીત વાળમાં તેલ (શક્ય હોય તો ઘરે બનાવેલા તલના તેલનો ઉપયોગ કરવો) નાખવું જોઇએ અને રોજ માથામાં તેલ નાખી ૧૦-૧પ મિનિટ આંગળા દ્વારા માલિશ કરવું જોઇએ. અને જેમની ત્‍વચા તૈલી હોય તેમણે માથામાં તેલનો ઉપયોગ ઓછો કરવો જોઇએ.

વાળ ઓળવાનું બ્રશ અલગ અને યોગ્‍ય રીતે સાફ રાખો. શક્ય હોય તો સખત તડકામાં બહાર જવાનું ટાળો, અને જરૂરી હોય ત્‍યારે વાળ યોગ્ય રીતે ઢંકીને બહાર નીકળો. જેથી ધૂળ અને તડકાથી વાળને નુકશાન ઓછું થાય.

કબજીયાત ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખો. માટે યોગ્ય સમતોલ ખોરાક લો. તમારા દૈનિક ભોજનમાં લીલી શાકભાજી અને કઠોળનો ઉપયોગ પ્રચુર માત્રામાં કરો. ચા, કોફી અને શરાબ જેવા માદક દ્રવ્યોનો ત્‍યાગ કરો. તેની જગ્યાએ દૂધનો વધારે ઉપયોગ કરો. અને ખાસ જરૂરી પૂરતા પ્રમાણમાં ઊંઘ લો.
About Writer
દેવાંગ મેવાડા