કટક ની SCB મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ, 10 લોકોના મોત, CM મોહન માઝી ઘટનાસ્થળે પર પહોચ્યા
સોમવારે વહેલી સવારે ઓડિશાના કટકમાં એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનામાં દસ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગના મૃતકો ટ્રોમા કેર આઈસીયુમાં દાખલ દર્દીઓ છે. આ ઘટના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે, જ્યારે ટ્રોમા કેર ઇમરજન્સી વિભાગના પહેલા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ હોસ્પિટલની ફાયર સેફ્ટી સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી અને હોસ્પિટલના ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા
આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અગ્નિશામકોને આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. હોસ્પિટલમાં ગભરાટ ફેલાઈ ગયો અને દર્દીઓના સગાંઓ ગભરાટમાં ભાગવા લાગ્યા. પરિસ્થિતિને જોતાં, ICU માં રહેલા દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ગંભીર હાલતમાં દર્દીઓને હોસ્પિટલના નવા મેડિસિન ICU માં ખસેડવામાં આવ્યા. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલમાં અજ્ઞાત છે, અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
મુખ્યમંત્રી મોહન માઝી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા
ઘટનાની માહિતી મળતાં, મુખ્યમંત્રી મોહન માઝી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે ન્યૂ મેડિસિન બિલ્ડીંગની મુલાકાત લીધી અને આગથી પ્રભાવિત દર્દીઓ અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી. મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રી માઝીએ જાહેરાત કરી કે દરેક મૃતકના પરિવારને ₹25 લાખનું વળતર આપવામાં આવશે. આરોગ્ય સચિવ, કટક જિલ્લા કલેક્ટર અને ડીસીપી સહિત અનેક વરિષ્ઠ વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા. રાહત અને બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે, અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે.