1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 નવેમ્બર 2020 (10:43 IST)

હવે ગિરનાર રોપવેનુ કરી સરળતાથી શકાશે ઓનલાઈન બુકીંગ

તહેવારોની રજામાં ગિરનારની મુલાકાત લેવાનુ આયોજન કરો છો ? તમે હવે આ મુલાકાતને નવા જ ઉદઘાટન કરાયેલા ગિરનાર રોપવેનુ ઓનલાઈન બુકીંગ કરાવીને પ્રવાસને વધુ સુગમ બનાવી શકો છો.
 
પેસેન્જર રોપવેના ક્ષેત્રે પાયોનિયર ગણાતી ઉષા બ્રેકો  કે જેણે ગિરનાર ખાતે 2.3 કી.મી. લાંબા રોપવેનુ નિર્માણ કર્યુ છે. આ કંપનીએ હવે તા. 1 નવેમ્બરથી રોપવેનુ ઓનલાઈન ટિકીટ બુકીંગ શરૂ કર્યુ છે.
 
ઉષા બ્રેકેના રિજિયોનલ હેડ, વેસ્ટ દીપક કપલીશ જણાવે છે કે “ગિરનાર રોપવેનુ ઓનલાઈન બુકીંગ કરવાનો ઉદ્દેશ ખાસ કરીને અન્ય શહેરો કે રાજ્યમાંથી આવતા પેસેન્જરોને સાનુકૂળતા કરી આપવાનો છે. અમને ઓનલાઈન ટિકીટ બુકીંગ ઉપલબ્ધ હોવા અંગે ખૂબ પૂછપરછ મળી રહી છે અને અમે આગામી તહેવારને ધ્યાનમાં રાખીને  આ સુવિધા રજૂ કરી છે.”
 
પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકીટ હવે www.udankhatola.com વેબસાઈટ ઉપર બુક કરાવી શકાશે. વપરાશકારો રોપવેના પ્રવાસનો ટાઈમ સ્લોટ પણ પસંદ કરી શકશે. ગિરનાર રોપવેનુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 24 ઓકટોબરના રોજ ઉદઘાટન કર્યુ હતું. તેને લોકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
 
કપલીશએ જણાવ્યુ હતું કે “ગિરનાર રોપવેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. માત્ર એક સપ્તાહના ગાળામાં જ આશરે ૧૬૦૦૦ હજાર લોકોએ રોપવે સર્વિસનો લાભ લીધો છે. આ સર્વિસને કારણે મોટી ઉંમરની વ્યક્તિઓ અથવા શારિરિક રીતે અસમર્થ લોકો પણ ગિરનારની યાત્રાએ જઈ શકે છે. અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પર્વતના શિખરે પ્રવાસ માટે રોપવે એક પસંદગીનુ સાધન બની રહેશે.”
 
અત્યંત આધુનિક રોપવે ધરાવતા આ પ્રોજેકટમાં વાતાનુકૂલિત પ્રતિક્ષા વિસ્તાર,ચાઈલ્ડ કેર રૂમ અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ રોપવેથી આ વિસ્તાર ઉપરાંત સમગ્ર સૌરષ્ટ્રમાં માં પ્રવાસન અને અન્ય  સંલગ્ન પ્રવૃત્તિઓ તથા રોજગારીને વ્યાપક વેગ આપશે તેવી અપેક્ષા છે. 
 
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે “કોવિડ-19 મહામારીથી પ્રવાસન પ્રવૃત્તિને માઠી અસર થઈ હતી. અમને વિશ્વાસ છે કે આ રોપવેને કારણે સોમનાથ, દ્વારકા, દીવ વગેરે અન્ય મથકો માં પણ પ્રવાસન પ્રવૃત્તિ ધમધમી ઉઠશે.”