ઈન્દોરમાં જાણીતા ગુજરાતી ગાયક હેંમત ચૌહાણની ખૂબસૂરત પ્રસ્તુતિની એક સાંજ
કેટલાક લોકોને પરિચયની જરૂર નથી હોતી કારણ કે તેમના કાર્ય જ તેમની ઓળખ આપે છે. તેવી જ રીતે ગુજરાતી ગાયક હેમંત ચૌહાણને કોણ નથી ઓળખતુ. ગુજરાતી ભજનો અને લોકગીતોના સૌથી લોકપ્રિય ગાયક છે. તેમણે 6000 થી વધુ લોકગીતો અને ભજનો ગાયા છે. એટલુ જ નહી તેમણે સમાજમાં કુરિવાજો જેવા કે દહેજપ્રથા, વ્યસન ઉપર લોકગીતો ગાઈને સમાજમાં ક્રાંતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.
હેમંત ચૌહાણનો જન્મ 1955મા કુંદણી ગામમાં થયો હતો જે કાઠિયાવાડી રાજકોટમા આવેલુ છે. તેમણે ગુજરાતી ભજન-સંતવાણીના સેંકડો આલબમમા પોતાનો મઘુર અવાજ આપ્યો છે. તેમના અનેક ગરબાના આલ્બમો પણ છે.
તેમના એક એક ભજન શ્રોતાઓને ઘેલા બનાવી દે છે. જ્યારે તેઓ ગાય છે ત્યારે શ્રાતાઓ સંપૂર્ણ લીન થઈ જાય છે. તેમના લોકપ્રિય ભજનોમાં 'શંભુ શરણે પડી.... ' ભજન હોય કે પછી 'ઊંચી મેડી તે મારા સંતની રે' ભજન હોય કે પછી ફેમસ ગરબાનુ ગીત 'પંખીડા ઓ પંખીડા.. ' રંગાઈ જાને રંગમા.. ' એ આજે પણ ખૂબ જ લોકપ્રિય અને લોકોના મોઢે ચઢેલી રચનાઓ છે.
હેમંત ચૌહાણે ગુજરાતી ફિલ્મોમાં તેમના ગીતો માટે બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે બે એવોર્ડ જીત્યા છે. તેમની લોકપ્રિયતા ગુજરાત પૂરતી જ સીમિત નથી. તેમણે પોતાના કાર્યક્રમોની રજુઆત માટે યુએસએ, યુકે, જાપાન, ફ્રાંસ અને ગ્રીસ જેવા દેશોની યાત્રા પણ કરી છે. આવી જ એક સાંજનુ આયોજન ઈન્દોર રસરંગ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જેમા તેઓ પોતાના ભક્તિ ગીત અને પ્રચલિત ગરબાની સુમધુર સાંજ દ્વારા દર્શકોનુ મંત્રમુગ્ધ કરી દેશે. તેમનો આ કાર્યક્રમ 8 જૂન 2025 રવિવારે સાંજે લાભ મંડપમમાં સાંજે 6.30 મિનિટે શરૂ થશે.
તેમના ભજન સાંભળવા અને એ પણ લાઈવ સાંભળવા મળે તો તમારી ખરેખર એક યાદગાર સાંજ બની જાય.