શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (11:59 IST)

ડોક્ટરો બાદ હવે તલાટીઓ મેદાને! વિવિધ માંગ સાથે હળતાળ પર ઉતર્યા, ગ્રામ પંચાયતોના કામ ખોરંભે ચડશે

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ હડતાળ પર ઉતરી રહ્યા છે. થોડા સમય પહેલાં ડોક્ટરોએ પોતાની વિવિધ પડતરો માંગને પુરી કરવા માટે હડતાળ પર ઉતર્યા હતા ત્યારે હવે આજથી રાજ્યમાં તલાટી મંત્રીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે. પોતાની માંગણીઓને લઇ હવે તલાટી કમ મંત્રીઓએ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. ત્યારે આજે રાજ્યના જુદા જુદા સ્થળો પર તલાટીઓ હડતાળ પર ઉતરશે. તલાટીઓની આ હડતાળ 4 ઓક્ટોબર સુધી ચાલશે ત્યારબાદ તેઓ 5 ઓક્ટોબરે કાળી પટ્ટી બાંધી કામગીરીમાં જોડાશે. તલાટીઓની હડતાળને પગલે અનેક ગ્રામપંચાયતોના કામ ખોરંભે ચડવાની શક્યતા સેવાઇ રહી છે. 
 
તલાટી કમ મંત્રીઓની મુખ્ય માંગણીઓ જેવી કે  વર્ષ 2004-05માં ફીક્સ પગારની નિમણૂંક પામેલા તલાટીઓની 5 વર્ષની સેવાને સળંગ ગણવામાં આવે અને 2007ના તલાટી સિનિયર અને 2005ના તલાટી જૂનિયર ગણાય છે ત્યારે આ મુદ્દે નિર્ણય કરવામાં આવે. 2004-05માં ભરતી થયેલા 975 તલાટીઓનો નિર્ણય સરકાર કરતી નથી તેને લઈ સરકાર સામે જલ્દી નિર્ણય કરવાની માંગ કરાવમાં આવી રહી છે.  તેમજ રાજ્યમાં 18 હજાર ગામો વચ્ચે 9 હજાર જ તલાટીઓ છે તેથી ગામે ગામે જઈને હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવો જોઇએ તેવી તલાટીઓ માંગ કરી રહ્યા છે. 
 
મહત્વનું છે કે રાજ્યમા નવી સરકાર  અને નવું મંત્રી મંડળ અસ્તિત્વમાં આવી છે, ત્યારે સરકાર સામે તલાટીઓ પોતાની માંગનો લઈને અડગ જોવા મળી રહ્યા છે જેથી આજે ગુજરાતના તમામ તલાટી મંત્રીઓ કામથી અડગા રહીને વિરોધ નોંધાવશે. અહી ઉલ્લેખનિય છે છેલ્લા ઘણા સમયથી તલાટીઓ દ્વારા સરકાર સામે પોતાની માંગોને લઈને વિવિધ રજૂઆત કરવામાં આવી છે પરતું સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. 
 
તલાટીઓની સીધી ભરતી કરતા પહેલા હાલના જિલ્લા ફેરબદલીની અરજીઓની અવગણના કરવામાં આવે છે. એટલું જ નહીં નિયમ છતાં 5 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલી પણ આપવામાં આવતી નથી, ત્યારે પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી સોંપવામાં આવે છે તે બંધ થાય તેવી તલાટીઓ માંગ કરી રહ્યા છે.  
 
આ ઉપરાંત બેંકોના કામ, જમીન સંપાદનની કામગીરી કરાવાય છે જે બંધ થવી જોઈએ તેમજ મનરેગાના કામની તમામ જવાબદારી સોંપાય છે જેને બંધ કરવી જોઈએ તેવું પણ તલાટીઓની માંગ છે. આ ઉપરાંત પણ તલાટીઓની વિવિધ માંગોને લઈને તલાટીઓ રજૂઆત કરી રહ્યા છે.