શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2016 (15:06 IST)

નોટબંધીથી કારોના વેચાણ પર બ્રેક લાગી, એક મહિનામાં ૫૦%નો ઘટાડો

હવે કાર એક લક્ઝરી ઓછી અને જરૃરિયાતનું સાધન વધારે બની ગઇ છે. દરેક વ્યક્તિનું સ્વપ્ન કાર ખરીદવાનું સ્વપ્ન ધરાવે છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટબંધી બાદ કાર ખરીદવાના અનેક લોકોના સ્વપ્ન પર હાલપૂરતું 'પંચર'  પડી ગયું છે. નોટબંધીને એક મહિનો પૂરો થવા આવ્યો છે અને આ સમયગાળામાં  અમદાવાદમાં કારના વેચાણમાં ૫૦% સુધીનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. નોટબંધીની સમસ્યા યથાવત્ રહેશે તો આગામી દિવસોમાં કારના વેચાણનો ગ્રાફ વધુ નીચે જશે તેવી પણ ચિંતા વ્યાપી ગઇ છે.કારના વેચાણ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે હાલના દિવસોમાં મોટાભાગના લોકો જરૃરિયાતની ચીજવસ્તુ હોય તેના ઉપર પણ ખૂબ જ વિચારીને ખર્ચ કરી રહ્યા છે. આ સ્થિતિમાં કાર જેવી લક્ઝુરિયસ ચીજ પાછળ લોકો હાલ ખર્ચ કરવાનું ટાળે તે સ્વાભાવિક છે. સામાન્ય રીતે દરરોજ સરેરાશ ૫૦ લોકો કાર ખરીદી પૂછપરછ માટે શો રૃમમાં આવે છે. નોટબંધી બાદ હવે સરેરાશ ૧૫ થી ૨૦ લોકો માંડ આવે છે. હાલ જે લોકો કાર ખરીદવા આવે છે તેમાંથી મોટાભાગના ડાઉન પેમેન્ટના વિકલ્પ પર વધારે પસંદગી ઉતારે છે. કારના વેચાણમાં ઘટાડાને પગલે અનેક શો રૃમને નવી-નવી સ્કિમ જાહેર કરવી પડી છે. કાર ઉપરાંત ટુ વ્હિલરના વેચાણને પણ છેલ્લા ત્રણ સપ્તાહથી અસર પડી છે. ટુ વ્હિલરની ઇન્ક્વાયરીમાં  અને તેના વેચાણમાં ૪૫% જેટલો ઘટાડો થયો છે. જોકે, આ સ્કિમ બહાર પાડવા છતાં કારના વેચાણમાં ખાસ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. નવી અને જૂની કારની ડિલરશીપ સાથે સંકળાયેલા એક અગ્રણી વિક્રેતાએ જણાવ્યું હતું કે 'નોટબંધી બાદ મોટાભાગના લોકોમાં એક પ્રકારની અસલામતી અને હતાશા આવી ગઇ છે. લોકો ગરીબ નથી થઇ ગયા પણ ખર્ચ કરવાની બાબતમાં હવે ખૂબ જ સાવચેત થઇ ગયા છે. કારની ખરીદી માટે વોક ઇન્સમાં આવતા લોકોની સંખ્યામાં છેલ્લા ચાર સપ્તાહ દરમિયાન ૮૦% સુધીનો ઘટાડો નોંધાયો છે. દોઢ મહિનામાં કારનું વેચાણ ફરીથી ટ્રેકમાં આવી જશે તેવો વિશ્વાસ છે.'