શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2016 (13:47 IST)

નોટબંધીના કારણે લાખો સરકારી કર્મચારીઓ મૂંઝવણમાં, 6 હજાર કરોડ જમા થશે પણ મળશે ખરા?

નોટબંધીના ઐતિહાસિક નિર્ણય બાદ 35 લાખથી વધુ સરકારી, અર્ધસરકારી, ખાનગી કર્મચારીઓ તથા કામદારોનો એક અંદાજ પ્રમાણે રૂ. છ હજાર કરોડ જેટલો માતબર પગાર બેંકોમાં જમા થશે.   સરકારી અને જિલ્લા પંચાયતોના 5.83 લાખ કર્મચારીઓનો રૂ. 2138 કરોડનો પગાર જમા થશે.  ખાનગી ક્ષેત્રના 13 લાખ કામદારો અને 17 લાખ કર્મચારીઓને રૂ. ચાર હજાર કરોડ જેટલા પગારની ચુકવણી કરાશે. લગભગ 6240 કરોડ જેટલો પગાર બેંકોમાં જમા થશે. નોટબંધીના કારણે સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ રાજયના દસ લાખ જેટલા સરકારી કર્મચારી-અધિકારીઓ અને પેન્શનરો પણ પરેશાન છે. સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં જ સીધો પગાર જમા થતો હોઇ પૂરતી રોકડ લેવાની અને સો રૂપિયાની નોટ કેવી રીતે મેળવવી તેની સમસ્યા સરકારી કર્મીઓને પણ એટલી જ સતાવી રહી છે. સચિવાલયના યુનિયન દ્વારા આ મહિને પગાર રોકડમાં આપવો તેની પણ માગણી કરવામાં આવી હતી પરંતુ સરકારે મંગળવારે સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં જ કર્મચારીઓ માટે ડિજિટલ-પેમેન્ટ અંગે જાણકારી આપતો વર્કશોપ યોજીને પગાર તો રોકડમાં નહીં પણ મોટાભાગના આર્થિક વ્યવહારો પણ હવે ઓનલાઇન જ કરવા જાણે આડકતરી રીતે સંદેશો પાઠવી દીધો હતો.  ગુજરાત રાજય કર્મચારી મહામંડળના પ્રમુખ કાર્તિક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકાર પાસે પગાર રોકડમાં આપવા અથવા અન્ય રાજયોની જેમ પગારનો કેટલોક હિસ્સો રોકડમાં આપવા માટે અમે માગણી કરી છે પરંતુ હજુ સુધી તેના સ્વીકારના કોઇ સંકેત મળ્યા નથી. તે ઉપરાંત નોટબંધીના કારણે રોકડના અભાવે કર્મચારીઓને ફરવા જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેથી છ મહિના એલટીસીનો બ્લોક લંબાવવા પણ માગણી કરવામાં આવી છે. સચિવાલયમાં જે બે એટીએમ આવેલા છે તેમાં પણ કયારેક પૈસા હોય તો મોટાભાગે ન હોય તેવી સ્થિતિ છે. તો ગાંધીનગરના ૬૦ ટકા એટીએમ પણ બંધ હાલતમાં હોવાથી કર્મીઓની સ્થિતિ કફોડી થાય છે. તમામ સરકારી વિભાગો અને જિલ્લા પંચાયતોના ૫.૮૩ લાખ કર્મચારી-અધિકારીઓને સરકાર વર્ષે ૨૫,૬૫૭ કરોડ રૂપિયા જેટલો પગાર (માર્ચ ૨૦૧૫ની સ્થિતિએ) ચૂકવે છે. એટલે કે મહિને ૨૧૩૮ કરોડ રૂપિયા જેટલો પગાર સરકાર દ્વારા પગાર, પ્રવાસ ભથ્થા અને અન્ય ભથ્થા પાછળ ખર્ચવામાં આવે છે. ૪.૫ લાખથી વધુ પેન્શનરોને પણ દર મહિને પેન્શન ચૂકવાય છે. ઉપરાંત ૧.૧૦ લાખ જેટલા બોર્ડ-નિગમના કર્મચારી-અધિકારીઓ છે. આવા સંજોગોમાં ચલણી નોટની અછતથી બેંક ખાતામાં પગાર જમા કરાશે.