1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (12:19 IST)

ભૂતકાળની ઘટનાઓથી સરકાર ગભરાઈ, લોકોને સભામાં જમીન પર બેસાડ્યા

રાજ્યકક્ષાના ખેલમહાકુંભનો મંગળવારે સાંજે પાલનપુરથી  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મશાલ સ્વીકારીને પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીનો વિરોધ કરવાનો પ્રયાસ કરનારા રાજકિય વિરોધ પક્ષના કાર્યકરોને નજરકેદ કરી દેવાયા હતા. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ધ્યાને લઇ લોકોને બેસવા માટે ખુરશીઓ પણ મુકાઇ ન હતી. લોકોના 100ના ગ્રૂપ વચ્ચે 5-5 પોલીસ તહેનાત કરાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, મા અંબાના આશીર્વાદ મળી રહે તે માટે પાલનપુરથી ખેલ મહાકુંભ શરૂ કરાયો છે. જેમાં 40 લાખ રમતવીરો પોતાનું કૌશલ્ય બતાવશે. ખેલમહાકુંભનો વિરોધ કરનારા તેની તાકાત નથી જાણતા રમત-ગમતથી યુવાનોના મનોબળ દ્દઢ બને છે. ખેલદિલની ભાવના કેળવાય છે. વ્યસન-મુક્ત બને છે. ભૂતકાળની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમમાં કૌભાંડો કર્યા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમથી 2011 માં ભારતનું સ્થાન 28મા ક્રમે હતું તે અત્યારે નવમા સ્થાને આવ્યું છે. 85 લાખ લોકોએ રમતોમાં ભાગ લીધો હતો. ભારતની વર્લ્ડકપની કબડ્ડીની ટીમના કેપ્ટન અનુપકુમાર, ઓલિમ્પિક શૂટર ગગન નારંગ, સૌપ્રથમ એવરેસ્ટ સર કરનારા ચેતન રાણા, એથ્લેટીક્સ મુરલી ગામીત, લજ્જા ગૌસ્વામી સહિત રમતવીરોને શક્તિદૂત યોજના અંતર્ગત રૂ.2થી 5 લાખના ચેક અપાયા હતા. મુખ્યમંત્રી જગાણા હેલીપેડથી વાહન દ્વારા એરોમા સર્કલ આવ્યા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા કાળાવાવટા ફરકાવી વિરોધ કરવામાં આવે તે પહેલાં કાર્યકરોની અટકાયત કરાઇ હતી. ગુરુનાનકચોક તેમજ વિદ્યામંદિર નજીક પણ કોંગ્રેસ-પાસના કાર્યકરોની ધરપકડ કરાઇ હતી. જ્યારે આપના કાર્યકરોને તો વહેલી સવારથી જ ડિટેઇન કરી નજર કેદ રાખવામાં આવ્યા હતા. કુલ 35 જેટલા લોકોની અટક કરી હતી.સરકારની આ કાર્યવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.