શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 15 ઑગસ્ટ 2021 (10:06 IST)

સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કરતા અમદાવાદ જીલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલે

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને આપણા દેશને આઝાદી અપાવનાર વીર સપૂતોનું સન્માન કરવું તે આપણી ભારતીય પરંપરા છે.

આપણો દેશ ૭૫મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે એ સ્વાતંત્રતા મેળવવા માટે અનેક ક્રાંતિકારીઓ, નામી-અનામી શહીદોએ બ્રિટિશરો સામે અવિરત સંઘર્ષ કરીને, જેલવાસ ભોગવીને આપણને આ મહામૂલી આઝાદી અપાવી છે.
નરોડા સંજયનગરના રહેવાશી ૯૮ વર્ષીય શ્રી લક્ષ્મણભાઈ ચૌહાણ અને ઉસ્માનપુરાના  શ્રી ઈશ્વરલાલ  દવે  સ્વાતંત્ર્ય સેનાની તરીકે  સન્માનીય વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે. તેમની પ્રતિકૂળ તબિયતના કારણે તેઓ આવતીકાલે  યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સ્થળે ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાથી જિલ્લા કલેકટર સંદિપ સાગલેએ તેમના ઘેર જઈને તેમનું સૂતરની આંટી પહેરાવીને , શાલ ઓઢાડીને અને પ્રતિકાત્મક ચિહ્નરૂપે ચરખાની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું.      
અમદાવાદ શહેરમાં રહેતા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરતા જીલ્લા કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું કે : ‘’દરેક રાષ્ટ્રીય પર્વમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને હાજર રાખીને સ્ટેજ પર તેમનું સન્માન કરવાની આપણી ગૌરવવંતી પરંપરા છે. પરંતુ ઘણીવાર શારીરિક અશકતતા અને મોટી ઉમંરના કારણે તેઓ કાર્યક્રમ સ્થળ સુધી આવી શકતા નથી, તેથી આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના પાવન પર્વે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નવતર વિચારના ભાગરૂપે આવા સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘેર જઈને તેઓને સન્માનિત કરવાનો અવસર સાંપડ્યો. 
ભારતની આઝાદીની લડતમાં પોતાની વીરતા બતાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને કારણે જ આપણે આજે આ આઝાદીનો દિવસ ઉજવી રહ્યા છીએ તેમ જણાવતા જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે સ્વાતંત્રતાની લડતમા જેલવાસ ભોગવનાર અને પરિવારથી દૂર રહેનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માન કરતા હું આભાર અને ધન્યતાની લાગણી અનુભવું છુ. 
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર પરિમલભાઇ પંડયા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો હાજર રહ્યા હતા. 
- મનીષા પ્રધાન