1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 5 એપ્રિલ 2020 (21:46 IST)

અમદાવાદ જિલ્લામાં હોમ કર્વારન્ટાઇનમાંથી 556 લોકો મુક્ત થયા

અમદાવાદ જિલ્લામાં ૫૫૬ લોકોને હોમ કર્વારન્ટાઇનમાંથી મુક્ત કરવામા ંઆવ્યા છે. તેમજ હાલમાં ફક્ત ૧૦૩ લોકો જ હોમ કર્વારન્ટાઇન હેઠળ હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.  જિલ્લામાં પીજી હોસ્ટેલમાં રહેતા ૧,૪૭૩ લોકોનો સંપર્ક કરાયો હોવાનું અને તેઓને જમવા સહિતની સુવિધાઓ પુરી પડાઇ રહી હોવાનો પણ દાવો તંત્ર દ્વારા કરાયો  હતો. રાશનકાર્ડ ન હોય તેવા લોકોને આગામી સોમવારથી અન્નબ્રહ્મ યોજના હેઠળ મફત અનાજનું વિતરણ કરાશે.અમદાવાદ જિલ્લામાં ૪૮ પાંજરાપોળમાં ૧૮ હજારથી વધુ પશુઘન છે. જ્યાં ઘાસચારાની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું અને જરૂર પડયે ઘાસચારો પુરો પાડવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે. કલેક્ટર કે.કે.નિરાલાના જણાવ્યા મુજબ રાજકોટથી એક લાખથી પણ ઓછી કિંમતમાં તૈયાર થયેલા વેન્ટિલેટર મળનાર છે. જેને કારણે અમદાવાદમાં હવે વેન્ટિલેટરની અછતની સમસ્યા નહીં નડે. કોરોનાના દર્દીઓની સારવાર સરળ બનશે. અમદાવાદ જિલ્લામાંથી મુખ્યમંત્રી રાહતફંડમાં ૪૫.૬૮ લાખની સહાય દાતાઓ દ્વારા કરાઇ છે. જિલ્લામાં જરૂરિયાતમંદોને એક લાખથી પણ વધુ ફૂડપેકેટનું તંત્ર દ્વારા વિતરણ કરાયું છે. રેશનકાર્ડધારકોને અનાજના વિતરણની કામગીરી પૂર્ણતાને આરે છે. બાકી રહેલાઓને પણ અનાજ પહોંચાડાશે. રેશનકાર્ડ  ન હોય તેવા લોકોને પણ આગામી સોમવારથી અન્નબ્રહ્મ યોજના હેઠળ મફતમાં અનાજનું વિતરણ કરવાની તૈયારીઓ કરાઇ છે. અનાજ મેળવવા આવતા લાભાર્થીઓ તકેદારીના પગલારૂપે સામાજિક અંતર જાળવે અને કોરોના સંક્રમણથી બચે તેવી પણ અપીલ કરાઇ છે. બીજી જગ્યાએ સ્થળાંતરીત થયેલા શ્રમિકોને પણ કોલ આવ્યે મદદ પહોંચાડવાની જિલ્લાતંત્રએ ખાત્રી આપી છે. લોકડાઉનના આ સમયગાળામાં લોકો તંત્રને મદદરૂપ બને અને લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે તેવી અપીલ કલેક્ટર દ્વારા કરાઇ છે. લોકડાઉનના ઉલ્લંઘનના કેસમાં સખત કાર્યવાહી કરવાની ચિમકી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે.