શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 ઑગસ્ટ 2020 (15:30 IST)

પોતાની હત્યાના કાવતરા અંગે ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયાએ શું કર્યો મોટો ખુલાસો?

ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતાની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ભાજપના નેતા અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે મુંબઈથી શાર્પ શૂટર અમદાવાદ આવ્યો હતો. જોકે, એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોર્ડ(એટીએસ)એ તેને ઝડપી પાડ્યો છે. આ અંગે ગોરધન ઝડફિયાએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે અગાઉ પણ ધમકી મળતી હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, તેમણે જણાવ્યું હતું કે, ઘણા સમય પહેલા કોઈ વ્યક્તિ રેકી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. જે તે સમયે મેં ગૃહ વિભાગને આ અંગે જાણ કરી હતી. તાજેતરમાં આવું કંઇ થયું હોવાની મને કંઇ ખબર નથી. શાર્પ શૂટર પકડાયા પછી ખૂદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે ગોરધન ઝડફિયાને માહિતી આપી હતી. તેમજ ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવાના આદેશ અપાયા છે. મળતી વિગતો પ્રમાણે ગઈ કાલે 10.10 વાગ્યે શાર્પ શૂટર રિલિફ રોડ પર આવેલા હોટલ વિનસમાં આવ્યો હતો. મુંબઈના ચૌહાણ હાજી મોહમ્મદના નામનું આધાર કાર્ડ આપી શાર્પ શૂટર હોટલમાં રોકાયો હતો. એટીએસને બાતમી મળતા તેને પકડવા માટે ગઈ હતી. દરમિયાન શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, એટીએસની ટીમે તેને ઝડપી પાડ્યો છે. આ શાર્ટ શૂટર મુંબઈના ડોન છોટા શકીલનો સાગરીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી એવી પણ વિગતો મળી છે કે, ઇરફાન શેખ નામના શાર્પ શૂટરે કમલમમાં રેકી કરી હતી. આજે ગોરધન ઝડફિયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે જ તેમની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ગોરધન ઝડફિયા નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.