1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Jamanagar News

Jamnagar News - ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વર્ષ કેવું જશે તેનું અનુમાન થાય છે

જામનગર
જામનગરના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે.  ગામમાં ઢોલ વગાડતા વગાડતા જઈ સતી માતાજી મંદિરે ગામના ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવાય છે. ગામના સતવારા પરિવારના ઘરે બનેલો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઇ જઈ ગામના દરબાર પરિવારના સભ્યના હાથે કૂવામાં પધરાવાય છે અને તેના આધારે આ વર્ષે વરસાદ કેવો રહેશે, તેનું અનુમાન કરવામાં આવે છે.

દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પ્રસંગ ઉજવે છે, આ અગાઉ મંદિરની પૂજા કરી, ધજા ચઢાવાય છે. વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ ઉપર આફત આવ્યાની અને આ કૂવામાં રોટલા પધરાવ્યા બાદ સમસ્યા ઉકેલાઈ ત્યારથી આ રીતરસમ અપનાવાતી હોવાનું ગ્રામજનો કહે છે. જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે.  દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે, આ વરસે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોઈ અને સાથે પાછોતરો વરસાદ આવશે તેવું જણાવાયું હતું.
ये भी पढ़ें
Breaking News - બજારમાં આવશે 200 રૂપિયાની નોટ !!