શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જૂન 2018 (12:31 IST)

મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેનને પીએમ મોદીના પત્ની જશોદાબેનનો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેને  મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલના એક નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, મોદી અપરિણીત છે. જોકે હવે જશોદાબહેને આનંદીબહેનને જવાબ આપ્યો છે. જશોદાબહેને કહ્યું છે કે, આનંદીબહેન કહે છે કે, નરેન્દ્ર મોદીનાં લગ્ન થયાં નથી. મીડિયા સાથેની વાતચીતમાં મધ્યપ્રદેશના ગવર્નરે મોદી અપરિણીત હોવાનો દાવો કર્યો હતો, જેનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો. હવે જશોદાબહેને કહ્યું છે કે, નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભરેલા સોગંદનામામાં પત્ની તરીકે મારા નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમના ભાઈ અશોક મોદીના મોબાઇલ ફોનથી શૂટ કરાયેલા વીડિયોમાં જશોદાબહેન એક લખાણ વાંચતા નજરે પડે છે. વીડિયોમાં તેઓ આગળ કહી રહ્યાં છે કે, ‘એક શિક્ષિકા થઈને તેમણે બીજી શિક્ષિકા વિશે આવું કહ્યું તે બિલકુલ અયોગ્ય છે. તેમના આ નિવેદનથી ભારતના વડાપ્રધાનની છબિને નુકસાન પહોંચ્યું છે.
તે મારા માટે આદરણીય છે અને મારા માટે રામ છે. તેમણે આવા નિવેદનોથી રાજકારણ ન રમવાનું પણ કહ્યું હતું. જશોદાબહેનના ભાઈ અશોક મોદીએ આ વીડિયોની પુષ્ટિ કરતા કહ્યું છે કે, વીડિયોમાં જશોદાબહેન જ છે. તેમણે કહ્યું છે કે, ‘જ્યારે આનંદીબહેનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર આવ્યું તો અમને વિશ્વાસ ન થયો, પણ એક અખબારમાં જ્યારે આ અહેવાલ પ્રકાશિત થયા તો અમને લાગ્યું કે તે વીડિયો ખોટો નથી. આથી અમે તેનો જવાબ આપવાનું નક્કી કર્યું.