શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (14:40 IST)

નવરાત્રી ઉત્સવને મંજૂરી આપવા આયોજકોનું સરકાર પર દબાણ, સુરભી ગ્રુપે પાસ બુકિંગની જાહેરાત કરી

વિશ્વના સૌથી મોટા ડાન્સ ફેસ્ટિવલ અને ગુજરાતના સૌથી મોટા નવરાત્રિ ઉત્સવને મંજૂરી આપવા માટે સરકાર પણ વિવિધ નવરાત્રી આયોજકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર પણ નવરાત્રિ અંગે ફેર વિચારણા કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં આવી રહેલા નવ દિવસના નવરાત્રિ મહોત્સવને મંજૂરી આપવાના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નવરાત્રિ અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવાનું થોડા દિવસ અગાઉ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રમજાન ઇદ, રથયાત્રા, જન્માષ્ટમી અને ગણેશોત્સવની ઉજવણી પર પણ પ્રતિબંધ મુક્યો હતો.આગામી 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે આયોજકો દ્વારા નવરાત્રિની મંજૂરી આપવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં નવરાત્રિ સાથે સંકળાયેલા આયોજકોએ આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સમક્ષ નવરાત્રિની મંજૂરી આપવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી, જ્યારે રાજકોટના નવરાત્રિ આયોજકોએ તો ગરબાના પાસ વેચવાની પણ તૈયારીઓ કરી લીધી છે.નવરાત્રી આયોજન માટે આયોજકોના દબાણ બાદ રાજ્ય સરકારે પણ આગામી દિવસોમાં મંજૂરી આપવી કે નહીં તેની ચર્ચા શરૂ કરી શકે છે, જેમાં કોરોનાના કેસો ની પરિસ્થિતિને આધારે કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે મંજૂરી અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે. પરંતુ સરકાર કોઈ પણ જોખમ ખેડીને નવરાત્રી કરાવવા તૈયાર ના હોવાનું પણ જાણવા મળે છે.આયોજકોનું માનવું છે કે, ગરબા યોજવા અંગે નિર્ણય લેવાય તો પણ છેલ્લી ઘડીના નિર્ણયથી રાસ-ગરબા યોજવાનું અઘરું સાબિત થઈ શકે છે. સરકાર રાસ-ગરબાના આયોજનની મંજૂરી આપશે તો પણ ખેલૈયા ગરબા રમવા નહીં આવે તેવી દહેશતને કારણે પણ ઘણા આયોજકો રાસ-ગરબા યોજવાના મૂડમાં નથી. ત્યારે રાજકોટના મોટા ગરબા આયોજક સુરભી ગ્રુપે પાસ બુકિંગની જાહેરાત પણ કરી દીધી છે. જો કે આયજકોનું કહેવું છે કે સરકાર નવરાત્રિ પર પ્રતિબંધ મુકશે તો નવરાત્રિનું આયોજન અમે બંધ રાખીશું. પણ ખેલૈયાઓ ઘરે બેઠા ગરબા રમી શકે તે પ્રકારે અમે આયોજન કરીશું.