શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 માર્ચ 2021 (14:26 IST)

ફરી લોકડાઉન આવશે તેવી અફવાને પગલે સુરતમાં પરપ્રાંતિયોનું વતન તરફ પ્રયાણ, કોર્પોરેટરો આખરે સમજાવવા દોડી ગયા

સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ ગયું છે. પરપ્રાંતિયો તેમના પરિવારના સભ્યો સાથે ધરવખરી લઈને યુપી-બિહાર તરફ જવાનું ધીરે-ધીરે શરૂ કર્યું છે. જેને પગલે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ હિજરત કરતા લોકોને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.શહેરભરમાં લોકડાઉનને લઇને સાંસદ સી.આર.પાટીલ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોઈએ ડરવાની જરૂર નથી, સરકાર લોકડાઉનની જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ નથી. જોકે સી.આર.પાટીલે કરેલી અપીલ બાદ પણ પરપ્રાંતિયો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ હિજરત કરતા લોકોને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પોલીસ કમિશનર અજય તોમર અને તંત્રએ પણ અપીલ કરી છે કે, લોકડાઉન અફવા છે એટલે તમે વતન ના જાઓ. પરંતુ કોરોના સંક્રમણનો એક પ્રકારે વિસ્ફોટ સુરત શહેરમાં થવાથી લોકોની શંકા પ્રબળ બની છે.સુરતમાં છેલ્લા 20 દિવસમાં જે રીતે કોરોના નો પ્રકોપ જોવા મળી રહ્યો છે તેના કારણે લોકડાઉન કરવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. રાત્રે કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ડાયમંડ અને ટેકસટાઇલ માર્કેટ અને શોપિંગ મોલો શનિવારે અને રવિવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યમાં સ્થિતિને ગંભીર બતાવી રહી છે ત્યારે પરપ્રાંતિય લોકોને લાગે છે કે, સરકાર એકાએક લોકડાઉન જાહેર કરી શકે છે અને તેવા સમયમાં રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાય શકે છે.