શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 જુલાઈ 2020 (11:27 IST)

આકાશી આફત: રાજ્યના 144 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, વીજળી પડવાથી 11ના મોત

રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે કચ્છમાં પણ વરસાદ થતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. રાજ્યમાં સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગમાં બે કલાકની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો છે. 
 
જ્યારે જામનગરમાં 3 ઇંચ વરસાદ અને ગીર સોમનાથમાં 2 ઇંચ જેટલો વરસાજ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે વરસાદની સાથે અનેક સ્થળોએ વીજળી ત્રાટકવાની ઘટના પણ બની છે. જેના લીધે રાજ્યમાં વીજળી પડવાથી 11 લોકોનાં મોત થયાં છે. 
 
અમદાવાદના  દસક્રોઈ તાલુકાના જેતલપુરમાં વીજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું. વડોદરાના સમસપુર ગામે પણ વજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું. બોટાદના સરવઈ- લાઠીદડ વચ્ચે વચ્ચે વીજળી પડતા 60 વર્ષના વૃદ્ધનું અને 5 વર્ષની બાળકીનું મોત થયું છે, તો નવી સરવઈ ખાતે પણ વીજળી પડતા 17 વર્ષની યુવતીનું પણ મોત થયું છે. એક જ દિવસમાં વીજળીના કારણે બોટાદ જિલ્લામાં 3ના મોત થયા છે. જ્યારે કાલાવડના નિકાવા પંથકમાં પણ એક યુવાન આકાશી વીજળીનો ભોગ બન્યો હતો. 
 
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં પાંચ લોકો આકાશી આફતનો ભોગ બન્યા હતા. જેમાં લાલપુર નજીક રક્કા ખટીયા વાડી વિસ્તારમાં માતા અને પુત્ર અને ખંભાળીયાના વિરમદળમાં કાકી-ભત્રીજીએ વીજળી પડવાથી મોતને ભેટ્યા હતા.
 
ખંભાળિયામાં એક મંદિર પર વીજળી પડતા ગુંબજ તૂટી ગયો હતો. મહેસાણાના લીંચમાં ઝાડ પર વીજળી પડતાં ઝાડને ચીરી નાખ્યું હતું તેમજ ઝાડ સાથે બાંધેલ ભેંસનું મૃત્યુ થયું હતું. મેઘરજના ઓઢા કસાણામાં વીજળી પડતાં વૃક્ષ સળગ્યું હતું. ત્યારે જસદણ તાલુકાના ડોડીયાળા ગામે વીજળી પડી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીજળી પડવાથી એક ખેતમજૂર ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.