1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (15:09 IST)

હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રચાર માટે નીકળશે 10 હજાર ગામોમાં એકતાયાત્રા,

આગામી 31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેવડીયા કોલોની ખાતે તૈયાર થઈ રહેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા એકતા યાત્રા યોજવામાં આવશે. આ યાત્રા ઓક્ટોબર અને નવેમ્બર એમ બે મહીના દરમિયાન ગુજરાતના 10 હજારથી વધુ ગામોમાં ફરશે. આ યાત્રામાં સરદાર પટેલના જીવનના પ્રસંગો અને સંદેશો પ્રજા સુધી પહોંચાડવામાં આવશે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે તબક્કામાં યોજાનારી આ એકતા યાત્રાની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું હતું. Ektayatra.comની આ વેબ સાઈટમાં એકતા યાત્રાના હેતુઓ ઉદેશ્ય અને વિગતવાર કાર્યક્રમોની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. એક ભારત શ્રેષ્ઠ ભારત ના સ્વપ્ન દ્રષ્ટા અને લોખંડી પુરુષ સરદાર પટેલના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન જન સુધી ઉજાગર કરવા ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન રાજ્યના 10 હજારથી વધુ ગામોમાં આ એકતા યાત્રા યોજાશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન એક સંભારણું બને એવા ભવ્ય કાર્યક્રમ યોજાશે. સરદાર પટેલના સંદેશને હાલના જનજીવનમાં તેની અગત્યતા સાથે લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવા અને સૌમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના વિકસાવવી તેમજ જ્ઞાતિ ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયોને આવરી લઇ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકતા યાત્રા દરમ્યાન સરદાર સાહેબના જીવન-કવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચર્ચા સ્પર્ધાઓ યોજાશે.તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે.