શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: ગુરુવાર, 18 જૂન 2020 (13:03 IST)

રથયાત્રાનો રૂટ જ્યાં છે તે ઝોનમાં કોરોનાના હજારથી વધુ દર્દીઓ, મંજુરી વિના લોકો જોડાઈ નહીં શકે

અમદાવાદ સહિતનાં શહેરોમાં દર વર્ષે અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી આપવા અંગે રાજ્ય સરકાર હજુ દ્વીધામાં છે. રાજ્ય સરકારે કહ્યું છે કે, અમદાવાદમાં રથયાત્રાના રૂટમાં કુલ 25 કન્ટેઇનમેન્ટ ઝોન છે, જેમાં કોરોનાના 1600 દર્દીઓ હોવાથી રથયાત્રાને મંજૂરી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બુધવારે મંત્રીમંડળની બેઠકમાં રથયાત્રા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરવા જણાવ્યું છે.  અમદાવાદમાં રથયાત્રાના સમગ્ર રૂટમાં 25 જેટલા કન્ટેઇનમેન્ટ ઝોન છે. આ વિસ્તારોમાં સરકારના પ્રયાસોથી કોરોના સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે, પણ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને લોકોના જીવ બચાવાય એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. આથી શહેરની સંપૂર્ણ પરિસ્થિતિનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.  પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રથયાત્રાના રૂટમાં આવેલા તમામ કન્ટેઇનમેન્ટ ઝોનમાં 1600થી વધુ કોરોનાના દર્દીઓ છે, જો રથયાત્રા નીકાળવામાં આવે તો યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય નહીં અને તેમ થવાથી કોરોનાના કેસો વધી શકે તેવી સંભાવના છે એટલે અમદાવાદ શહેરના વહીવટી તંત્ર, રાજ્યના પોલીસ વિભાગ અને અન્ય અગ્રણીઓ સાથે પરામર્શ બાદ જ અમદાવાદ સહિત રાજ્યમાં યોજાનારી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે.પોલીસ દ્વારા રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવામાં આવી નથી. આટલું જ નહીં રથયાત્રાના બંદોબસ્ત માટે બહારથી એકપણ પોલીસ અધિકારી, કર્મચારી કે લશ્કરી, અર્ધલશ્કરી દળની ટુકડીઓ પણ અમદાવાદ આવી નથી. આથી ચાલુ વર્ષે રથયાત્રા કાઢવા અંગે શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે. જોકે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મંજૂરી વગર જો મંદિર રથયાત્રા કાઢશે તો પોલીસ પાસે રથયાત્રામાં જોડાનારા લોકોને ડિટેન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેશે નહીં.