બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (15:30 IST)

કૉંગ્રેસનો નડ્ડાને જવાબ, 'લોકોના શ્વાસ રૂંધાતા હતા, ત્યારે નરેન્દ્ર મોદી મહેલના નિર્માણમાં વ્યસ્ત હતા'

મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રનો જવાબ આપવા કૉંગ્રેસી નેતાઓએ મોરચો સંભાળ્યો છે.
 
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ પ્રમાણે અજય માકન, મલ્લિકાર્જુન ખડગે અને પી. ચિદમ્બરમ જેવા દિગ્ગજ કૉંગ્રેસી નેતાઓએ પત્રના જવાબમાં જે. પી. નડ્ડા અને ભાજપના વલણની આકરી ટીકા કરી છે.
 
અજય માકને આ સમગ્ર વિવાદ બાદ કૉંગ્રેસ તરફથી જણાવ્યું હતું, "પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા અપાયેલાં સૂચનો કોઈ દુર્ભાવનાપૂર્ણ નથી. કંઈક આવાં જ સૂચનો અને આવી જ ટીકા IMA, લૅન્સેટ અને અન્ય નિષ્ણાતોએ પણ કરી છે."
 
"શું ભાજપ તેને પણ રાજકારણપ્રેરિત ગણાવશે?"
 
આ સિવાય કૉંગ્રેસના અન્ય એક સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને લખેલા પત્ર અંગે વાંધો વ્યક્ત કરતાં કહ્યું કે "સાત વર્ષથી સત્તા પર હોવા છતાં બધી વાતો માટે કૉંગ્રેસને જવાબદાર ઠેરવવાની ભાજપની આદત ક્યારે છૂટશે?"
 
તેમણે લખ્યું કે "જ્યારે લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા, ત્યારે મોદી પોતાના મહેલના નિર્માણ અને રેલીઓ પર ધ્યાન આપી રહ્યા હતા, આ વાતને લોકો ક્યારેય નહીં ભૂલે."