1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (09:52 IST)

મધરાત્રે ભાવનગરની કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, સમયસૂચકતા લીધે સબ સહીસલામત

ગુજરાતમાં વધુ એક કોવિડ સેન્ટર આગની ચપેટમાં આવી ગઇ છે. ગત બે વર્ષોમાં ઘણા કોવિડ સેન્ટરો આગની ચપેટમાં આવી ગયા છે. ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગી હોવાના સમાચારની શાહી સુકાઇ નથી. ત્યાં તો વધુ એક કોવિડ સેન્ટર આગનો ભોગ બન્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલ એક્સ જનરેશન હોટલ કે જયાં સમર્પણ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં મોડી રાત્રે આગ લાગવાની દુર્ઘટના સર્જાઇ હતી. અચાનક આગ લાગતાં ત્યાં સારવાર લઇ રહેલા 18 દર્દીઓને તાત્કાલિક રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં ઘારાસભ્ય જીતુ વાઘાણી સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તમામ દર્દીઓને રેસ્ક્યૂ કરીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. 
 
પ્રાપ્ત થઇ રહેલી પ્રાથમિક માહિતિ અનુસાર ટીવીના યુનિટમાં શોર્ટસર્કિટ થયું હતું. ત્યારબાદ અચાનક જ આગ ફાટી નિકળી હતી. આગ ફાટી નિકળતાં દોડધામ મચી જવા પામી હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી મોટી જાનહાનિ થતાં થતાં ટળી ગઇ હતી. 
 
ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક રેસ્ક્યૂ કરીને કોવિડ સેન્ટરમાં રહેલા 68 દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે આગમાં આખો રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. આ આગ લાગ્યાની જાણ થતાં જ કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓને ભારે મોટી ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 1 મેના રોજ ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકોના મોત નિપજ્યાં છે.આ ઘટનામાં 14 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 16 લોકોના મૃત્યુ થયા હતા.