1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2017 (12:40 IST)

BJP Vs Congress - અમદાવાદની બેઠકો પર કોંગ્રેસે નબળા ઉમેદવારોની પસંદગી કરી, ટોચના નેતાઓએ રોકડી કરી લીધી

કોંગ્રેસ પાસે દરિયાપુર અને દાણીલીમડાની બે જ બેઠકો છે. આ વખતની સ્થિતિ જોતા અમદાવાદમાંથી કોંગ્રેસનો હાથ ઊંચો રહે એવું દેખાતું હતું પરંતુ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ નિરાશા જોવા મળે છે. કોંગ્રેસે ભાજપની જેમ જ્ઞાાતિ-જાતિનાં સમીકરણને ધ્યાનમાં લીધા વગર ટિકિટો આપી દીધી છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, કોંગ્રેસનાં ટોચનાં અમુક નેતાઓએ 'રોકડી' કરીને ઘણી બેઠકો પરની ટિકિટો વેચી મારી છે. જેને કારણે કોંગ્રેસ માટે જે બેઠકો જીતવાની શક્યતા હતી તે હવે રહી નથી. આ વખતે પ્રજા ભાજપથી ત્રાસેલી છે. આથી જો કોંગ્રેસે સારા ઉમેદવારો મૂક્યા હોત તો જીત નિશ્ચિત બની ગઇ હોત પરંતુ એવું થયું નથી.

ઉદાહરણ તરીકે વેજલપુરમાં મુસ્લિમો, બ્રાહ્મણો, પાટીદારો અને ર્ંમ્ભ સમૂદાયના મતદારો સૌથી વધુ છે. જો અહીંથી બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપી હોત તો ભાજપની હાર થાત. આ જ રીતે અસારવામાં રોહિત સમાજની વસ્તી સૌથી વધુ છે. પરંતુ ટિકિટ આપી વાલ્મિકી સમાજના ઉમેદવારને. બાપુનગરમાં પણ બ્રાહ્મણ ઉમેદવારને પસંદ કર્યા નથી. ઉપરાંત આ બેઠક પર સ્થાનિક નેતાઓનો ઝગડો પરાકાષ્ટાએ પહોંચ્યો છે. ૨૦૧૨ની ચૂંટણીમાં પણ આવા ઝગડાને કારણે કોંગ્રેસે નજીવા માર્જીનથી આ બેઠક ગુમાવી હતી. આ વખતે પણ બેઠક ગુમાવશે. મણિનગરથી છૂટી પડેલી અમરાઇવાડીની બેઠક પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. નરેન્દ્ર મોદીને બાદ કરતાં આ બેઠક પર કોઇ જ બિન પાટીદારો જીતી શક્યા નથી. આમ છતાં પાટીદારને બદલે કોઇ હિન્દી ભાષી ઉમેદવારને ટિકિટ આપી છે. કોંગ્રેસના જ આંતરીક સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ જાણી જોઇને જીતી શકે એવી બેઠકો પર નબળા ઉમેદવારની પસંદગી કરી છે. જેના માટે તેઓએ ભાજપ સરકાર સાથે સેટીંગ કર્યું છે. તેમજ ઉમેદવાર પાસેથી નાણા લીધાની ચર્ચા છે.