શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : મંગળવાર, 27 જુલાઈ 2021 (08:41 IST)

અતિવૃષ્ટિ નો પ્રકોપ/ વર્ષાનું તાંડવ/અતિવૃષ્ટિ :ભયંકર કુદરતી આફત/ વર્ષાનું રૌદ્ર સ્વરૂપ

મુદ્દા- 1. વર્ષાનાં બે સ્વરૂપ: અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ 2. અતિવૃષ્ટિ રૌદ્ર સ્વરૂપ 3. માનવીની લાચારી 4. ખુવારીની ભયાનકતા 5. બચાવના ઉપાયો અને માનવસેવા 

"अति सर्वत्र वर्जयेत" એ ન્યાય વરસાદને પણ લાગુ પડે છે. અતિવૃષ્ટિ એટલે જરૂર કરતાં ઘણિ વધારે, બેહદ વરસાદ. એક જ દિવસમાં વીસથી પચીસ ઈંચ પાણી પડી જાય ત્યારે અતિવૃષ્ટિ થઈ કહેવાય. વરસાદ માજામાં રહે, જરૂર જેટલો જ વરસે તો અમૃત જેવો લાગે, પરંતુ જો હદ કરતાં વધુ વર્સવા માંડે અને અટકવાનુ નામ જ ન લે તો અન્નદાતા સમો એ વરસાદ કાળો કેર વરતાવીને આપણો સર્વનાશ કરી દે! આમતો વૃષ્ટિ એટલે સૃષ્ટિની ધાત્રી, જીવનદાત્રી અને સંજીવની! પરંતુ એ જ્યારે પ્રલંયકર ભવાનીનું રોદ્ર સ્વરૂપ દાખવે ત્યારે માનવીને છટ્ઠીનું ધવણ યાદ કરાવી દે! 
 
અતિવૃષ્ટિનો પુણ્યપ્રકોપ કોઈથી ના જીરવાય. બારે મેઘ ખાંગા થઈને ધરતી પર તૂડી પડે! એક નહિ, બે નહિ પણ ક્યારેક તો ત્રણ -ત્રણ દિવસ ને રાત અવિરતપણે મૂસળધાર વરસાદ વરસ્યા જ કરે! આકાશમાં કાળાં કાળા વાદળાંની સેના ખડકાયે જ જાય. એમના અથડાવાથી ભયંકર ક્ડાકા થયાને વીજળીના ચમકારા તો એવા થાય કે જાણે હમણાં બધુ બાળીને ભસ્મ કરી નાખશે! અધૂરામાં પુરું બાકી રહી ગયું હોય તેમ પવન પણ સૂસવાટા કરતો એટલાજોરથી ફૂંકાય કે તોતિંગ વૃક્ષો, તાર, ટેલિફોનને વીજળીના થાંભલા અને મકાનોનાં છપરાં-કોઈની સલામતી નહિ બાપરે! અતિવૃષ્ટિ અડપલું જેને એકવાર પણ થયું છે એને પૂછી આવો કે કુદરત આગળ માનવીની શી હેસિયત છે.   
 
અતિવૃષ્ટિને કારણે માનવી, પશુપંખી અને પાક ત્રણેયની બરબાદી સર્જાય છે. ચારે બાજુ જળબંબાકાર એટલે અતિવૃષ્ટિ હાહાકાર! અતિવૃષ્ટિ એ કુદરતી આફત જ નથી કુદરનું વિનાશક તાંડવ છે, રાક્ષસી અટ્ટહાસ્ય છે. ધરતીને જળબંબાકાર કરી દેનારી; ગગનચુંબી ઈમારતો, મિનારાઓ, બજારો, ચૌટાઓ, ખેતરો અને રસ્તાઓની ખાનાખરાબી કરી દેનારી; પશુપંખી અને માનવીની મોટા પાયા પર જાનહાનિ કરનારી માનવીનું કર્યું-કરાવ્યું બધુ ઘડીના છટ્ઠા ભાગમાં ધૂળધાણી કરી દેનારી અને જળસ્થળને એકાકાર કરી દેનારી અતિવૃષ્ટિ એ તો માનવીને કુદરતની જડબાતોડ લપડાક છે. કુદરત સાથે ચેડાં કરનાર માનવીની સાન ઠેકાણે લાવવાનો આના સિવાય બીજો કોઈ જડબેસલાક ઉપાય નથી. 
 
અતિવૃષ્ટિનો ત્રાણ જેણે જીરવ્યો હ્પોય એ જ જાણે કે શું બચાવવું કે શું ન બચાવવું? ક્યાં જવું ને શું કરવું એની કંઈ ગતાગમ ન પડે અને આંખમાં આંસુ સાથે બે હાથ જોડી, ત્રીજું મસ્તક બનાવી મેઘરાજાને 'ખમૈયા' કરવાની પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ આરો નથી રહેતો. રસ્તા પર સડકો પર, આગગાડીન પાટા પર, ખેતરોમાં ને ઘરોમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી! આટલું બધુ પાણી જાય કયાં અને એને સમાવે કોણ? નદી, તળાવ, વાવ, સરોવર,-બધા જ જળાશયો હાઉસફુલ ! કાચાપોચા પાટીના બંધ કે પાળાનું તો ગજું જ નહિ કે ટક્કર ઝીલે! એમાંય જો એકાદ બંધ તૂટ્યો કે એકાદ નદી બે કિનારાના બંધન તોડી ગાંડીતૂર બની તો તો આવી બન્યું જ સમજો! અને જ્યાં ઘરોમાં, બંગલાઓમાં પાણી પ્રવેશવા માંડે ત્યાં કીમતી રાચરચીલું, ટીવી, ફ્રીજ, તિજોરી, અનાજ, કપડાં - આ બધુ બચાવવું કે જાન બચાવવો એની જ ભાંજગડ ઉભી થાય છે. 'જાન બચી તો લાખો પાયા'-  એ ન્યાયે માનવી ઘરના છાપરે યા વૃક્ષની ડાળીએ ટિંગાઈને પાણી ઓસરવાની રાહ જુએ છે. 
 
અતિવૃષ્ટિની દૂરગામી અસરો યો ઓર ભયંકર હોય છે. ખેતરોમાંથી ઉભો મોલ તણાઈ ગયા પછી અનાજનો દુષ્કાળ જ પડે કે પછી બીજું કોઈ? ખરેખર, 
અતિવૃષ્ટિનું તાંડવ એક વાર ખેલાઈ ચૂક્યા પછી કહેવાય છે કે બીજાં દસ વર્ષ સુધી એ પ્રદેશ નથી ઉંચી આવી શકતો કે નથી એનો અપેકિત વિકાસ થઈ શકતો! હાય રે અતિવૃષ્ટિ!