ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેંની સાથે દીકરી-જમાઈનું પણ નિધન, પરિવારના અનેક લોકોના મોત
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) આયાતુલ્લા અલી ખામૈનીનું મોત થયું છે. ઈરાની મીડિયા દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. ખામૈનીના નિધનથી સમગ્ર મધ્ય પૂર્વના દેશોમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની છે.
પરિવારના સભ્યો પણ હુમલાનો શિકાર: દીકરી-જમાઈ સહિત અનેક લોકોના મોત
આ ઘાતક હુમલામાં માત્ર આયાતુલ્લા ખામેંની જ નહીં, પરંતુ તેમનો આખો પરિવાર પણ ભોગ બન્યો છે. ઈરાનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ હુમલામાં ખામૈનીની પુત્રી, પૌત્રી, પુત્રવધૂ અને જમાઈના પણ મોત થયા છે. ખામૈનીએ તેમના મૃત્યુ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે શહીદી અને અલ્લાહને આપેલા વચનનો ઉલ્લેખ કર્યો હતો.
ઈરાની રક્ષા મંત્રાલયનાં 7 ટોચના કમાન્ડરોનો ખાતમો
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ (IDF) એ દાવો કર્યો છે કે તેમના લડાયક વિમાનોએ ઈરાનમાં સચોટ સૈન્ય હુમલા કર્યા છે. આ ઓપરેશનમાં ઈરાનના સંરક્ષણ નેતૃત્વના 7 વરિષ્ઠ અધિકારીઓને મારી નાખવામાં આવ્યા છે. જેમાં અલી શમખાની, મોહમ્મદ પાકપુર, સાલેહ અસદી અને મોહમ્મદ શિરાઝી જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. IDF એ આ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "આ નેતાઓના ગયા પછી દુનિયા હવે વધુ સારી જગ્યા બનશે."
દેશમાં 40 દિવસનો શોક જાહેર: 7 દિવસની જાહેર રજા
સુપ્રીમ લીડરના મૃત્યુ બાદ ઈરાન સરકારે દેશવ્યાપી 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં તમામ સત્તાવાર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અલી ખામેંનીના સન્માનમાં અને આ દુખદ ઘટનાને પગલે ઈરાન સરકારે 7 દિવસની જાહેર રજાની પણ જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં અત્યારે માતમનો માહોલ છે અને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.