શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી કાવ્ય
Written By સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|

એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો.

રે! રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમા.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્‍હોય ઊઠી શક્યું ના;

ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્‍તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને,

રે ! રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્‍હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;

રે ! રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ના આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.