શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

જસવંત અને ઝીણા...

સાચે જ ઝીણાનું ભૂત જસવંતને લઈ ડૂબ્યું !

PTI
PTI
'અલ્લાદિન અને તેનો જાદૂઈ ચિરાગ' નાનપણમાં આ કોમિક્સ ખુબ જ વાંચેલી. આ કોમિક્સમાં જ્યારે પણ અલ્લાદિન કોઈ મુશ્કેલીમાં ફસાતો ત્યારે પોતાની પાસે રહેલા ચિરાગને ઘસતો અને તેમાથી તરત જ એક જીની (જિન) બહાર આવીને ઉભો રહી જતો, પોતાના બન્ને હાથની અદપ વાળીને તે જોરથી કહેતો 'આકા ક્યાં હુકમ હૈ મેરે લિયે' અલ્લાદિન પોતાની સમસ્યા તેને જણાવતો અને જીની પણ ચપટી વગાડતા તેની સમસ્યાનું સમાધાન કરી નાખતો.

આ તો થઈ કોમિક્સની વાત, હવે રાજકારણની વાત લઈએ. ભારતીય જનતા પાર્ટી પાસે પણ આવો એક ચિરાગ છે. જેમાંથી જીન નહીં પરંતુ ઝીણાનું ભૂત બે વખત બહાર નિકળ્યું. પહેલી વખત ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આ ચિરાગને ઘસ્યો હતો અને ઝીણાના આ ભૂતે તેમની મદદ કરવાને બદલે તેમને હેરાન-પરેશાન કરી નાખ્યાં હતાં. ત્યાં સુધી અડવાણીજીને ભાજપના પાર્ટી અધ્યક્ષનું પદ પણ ગુમાવવું પડ્યું હતું. અડવાણીની ભૂલ માત્ર એટલી જ હતી કે, તેમણે પાકિસ્તાનની ભૂમિ પર જિણાની મજાર (દરગાહ) પર જઈને તેમને ધર્મનિરપેક્ષ વ્યક્તિ જણાવ્યાં હતાં.

ચાર વર્ષ બાદ ભાજપના વરિષ્ઠ નેતા જસંવત સિંહે પણ એ જ ભૂલ કરી જે અડવાણીએ કરી હતી. જસવંત સિહે પોતાના પુસ્તક ' જિન્હા ઈંડિયા: પાર્ટિશન, ઈંડિપેંડેસ' માં મહોમ્મદ અલી ઝીણાને 'સેક્યુલર' ગણાવ્યાં. તેમણે એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં ભારત-પાકિસ્તાનના વિભાજન પાછળ ઝીણાને નહીં પરંતુ તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને જવાબદાર ઠેરાવ્યાં.

જસવંત સિહે તો ત્યાં સુધી કહી દીધું કે, 'મહાત્મા ગાંધી ખુબ ઝીણાને મહાન વ્યક્તિ માનતા હતાં. તેમણે ઉમેર્યું કે, ભારતમાં વસતા મુસ્લિમોની હાલત 'એલિયન્સ' જેવી છે. આ બધી વાતોથી એ તો નક્કી જ હતું કે, જસવંત સિંહના દિવસો હવે પૂરા થવામાં છે. સંઘ પરિવાર, ભાજપ અને અન્ય હિન્દૂ વાદી સંગઠનોની આંખોમાં જસવંત આંખના કણાની માફક ખૂંચવા લાગ્યાં.

બન્યુ પણ એવું 'ઝીણાનું ભૂત જસવંતને લઈ ડૂબ્યું, ભાજપે એક કઠોર નિર્ણય લઈને બુધવારે શિમલા ખાતે યોજાયેલી પાર્ટીની ચિંતન બેઠકમાં જસવંત સિંહને પોતાની પાર્ટીના પ્રાથમિક સભ્યમાંથી બાકાત કરી નાખવામાં આવ્યાં હોવાની જાહેરાત કરી. નિરાશ જસવંત સિહ માટે પાર્ટીનો આ નિર્ણય વ્રજઘાત સમાન હતો.

ND
N.D
તેમણે તાબડતોડ એક પત્રકાર પરિષદ યોજી, રડતા-કગરતા મોઢે તે દેશની તમામ ટીવી ચેનલોમાં નજરે ચડ્યાં. તેઓ માત્ર એક જ વાત બોલી રહ્યાં હતાં કે, તેમની 30 વર્ષની રાજકિય કારકિર્દીનો આવો દુ:ખમય અંજામ આવશે તેમની તેમને કલ્પના ન હતી. રામાયણના પાત્રો સાથે પોતાની તુલના કરતા તેમણે કહ્યું કે, પાર્ટી માટે તેમણે હનુમાનની જેમ કામ કર્યું પરંતુ પાર્ટીએ તેમને રાવણ બનાવી દીધા.

પ્રશ્ન અહીં એક જ ઉપસ્થિત થાય છે કે, આખરે એવા તે કયાં કારણો રહ્યાં કે, ભાજપને આટલો કઠોર નિર્ણય લેવો પડ્યો ? અડવાણીજીએ પણ અગાઉ આ ભૂલ કરી હતી ત્યારે તો તેમની સામે કોઈ આકરા પગલા ન લેવામાં આવ્યાં ? આમ પણ ભાજપના બેડામાં છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદો વકરતા જઈ રહ્યાં છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીને બદલવા માટે ચાલી રહેલી મથામણ, રાજસ્થાનમાં વસુંધરા રાજેનું રાજીનામા પ્રકરણ અને હવે જસવંત સિંહની બાદબાકી. આ તમામ બનાવોને જોતા એવું લાગે છે કે, લોકસભા ચૂંટણીમાં મળેલા ઘોર પરાજય બાદ ભાજપનું નેતૃત્વ ડગમગ થવાં લાગ્યું છે. આ તમામ ઉથલ-પથલ છતાં પણ ભાજપ જસવંત સિહને જાકારો આપી દે તેવું તો માન્યમાં જ આવતું ન હતું.

પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે, જસવંત સિંહ વિરુદ્ધ જે નિર્ણય લેવામાં આવ્યો તે ભાજપનો ખુદનો તો નિર્ણય છે ને ? કે પછી ક્યાંક તેને સંઘના આદેશને આધિન થઈને આ નિર્ણય લેવો પડ્યો છે. શિમલામાં યોજાયેલી ચિંતન બેઠકમાં જસવંત સિંહની પાર્ટીમાંથી બાદબાકી કરવામાં આવવાની વાત ભલે પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહે કરી હોય પરંતુ જાણકારોનું માનવું છે કે, આ નિર્ણય પાછળ સંઘની મુખ્ય ભૂમિકા છે. છેલ્લા બે સપ્તાહ પહેલા જ આરએસએસ ભાજપના ભવિષ્યને લઈને જેટલું સતર્ક નજરે ચડી રહ્યું છે તેટલું ચૂંટણી પરાજય બાદથી કેમ નજરે ન ચડ્યું ?

સત્ય એ છે કે, આરએસએસના ડગલે અને પગલે ચાલનારી ભાજપ સરકાર કદી પણ ઘર્મનિરપેક્ષ નહીં થઈ શકે. જે દેશ માટે ઠીક નથી. ભાજપના હિતમાં એ છે કે, ન માત્ર તે અનુશાસનમાં રહે પરંતુ અનુશાસિત દેખાય પણ ખરું. આ દૃષ્ટિથી જસવંત સાથે જે થયું તે ભાજપના હિતમાં છે.

લાસ્ટ સ્ટ્રોક : હાલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્યમાં જસંવતના પુસ્તકના વેચાણ પર અંકૂશ મૂકી દીધો છે જેને જોતા એવું લાગે છે કે, મોદીજીએ પોતાના તરફથી અનુશાસિત કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે. કદાચ તેઓ 'ભારતીય જનતા પાર્ટી' ને 'ભારતીય જિણા પાર્ટી' બનવા દેવા ઈચ્છતાં નથી. ઇટ્સ ગુડ મોદીજી !