Noida પછી દિલ્હીમાં પણ મોતનો ખાડો: જનકપુરીમાં ખુલ્લા ખાડામાં પડી જવાથી બેંક આસિસ્ટન્ટ મેનેજરનું મોત
નોઈડા બાદ હવે રાજધાની દિલ્હીમાં પણ ખુલ્લા ખાડા એક યુવાનના મોતનું કારણ બન્યા છે. દિલ્હીના જનકપુરી વિસ્તારમાં જલ બોર્ડ દ્વારા ખોદવામાં આવેલા બાંધકામ હેઠળના રસ્તા પર ખુલ્લા ખાડામાં પડી જવાથી એક યુવાન મોટરસાયકલ સવારનું મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ પાલમ વિસ્તારના રહેવાસી અને ખાનગી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા કમલ તરીકે થઈ છે.
આ અકસ્માત એટલો ગંભીર છે કે તે તાજેતરમાં ગ્રેટર નોઈડામાં એન્જિનિયર યુવરાજ મહેતાના ખાડામાં પડવાથી થયેલા મોતની યાદ અપાવે છે. ઘટના સ્થળના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ખાડો રસ્તાની વચ્ચે ખુલ્લો દેખાય છે.
રસ્તા પર ખુલ્લો ખાડો, કોઈ બેરિકેડ કે ચેતવણી નહોતી
પ્રાપ્ત માહિતી મુજબ, જનકપુરી વિસ્તારમાં દિલ્હી જલ બોર્ડ દ્વારા રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં કોઈ બેરિકેડ, ચેતવણી બોર્ડ કે રિફ્લેક્ટર મૂકવામાં આવ્યા નહોતા. અંધારામાં મોટરસાયકલ ચલાવતા કમલ આ ખાડામાં પડી ગયા. તે સમયે તેઓ હેલ્મેટ પહેરેલા હતા અને Apache RTR 200 બાઈક ચલાવી રહ્યા હતા.
સ્થાનિક લોકોનું કહેવું છે કે અકસ્માત બાદ તરત જ ખાડાની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા, જેના કારણે તંત્રની બેદરકારી પર સવાલો ઉભા થયા છે.
પરિવારનો ગંભીર આરોપ: “આખી રાત અમારો દીકરો ખાડામાં કણસતો રહ્યો”
મૃતક કમલના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે અકસ્માત બાદ આખી રાત સુધી કોઈ સરકારી મદદ પહોંચી નથી. પરિવારના જણાવ્યા અનુસાર, કમલ રાત્રે ઘરે ન પહોંચતા તેઓએ આખી રાત પોલીસ સ્ટેશનમાં તેની શોધખોળ કરી.
કમલના ભાઈએ જણાવ્યું,“અમે માંગોલપુરી, રોહિણી અને જનકપુરી સહિત 7 થી 8 પોલીસ સ્ટેશનમાં ગયા, પરંતુ કોઈએ મદદ કરી નહીં. મોબાઈલ ફોન ટ્રેસિંગ બાદ પણ પોલીસે કહ્યું કે સ્થળ જનકપુરી વિસ્તારથી 200 મીટર દૂર છે, તમે જાતે શોધો. સવારે લગભગ 6:30 વાગ્યે ફોન આવ્યો કે મારા ભાઈનું ખાડામાં પડી જવાથી મોત થયું છે.”
સાક્ષીનો ચોંકાવનારો દાવો, પોલીસની કામગીરી પર સવાલ
આ ઘટનામાં મૃતકના મિત્ર અને પ્રત્યક્ષદર્શીએ પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યા છે. સાક્ષીનો દાવો છે કે રાત્રે જ્યારે તેમણે સ્થળ તપાસ્યું ત્યારે ખાડામાં કોઈ લાશ દેખાઈ નહોતી. તેમણે કહ્યું,
“જો રાત્રે લાશ નહોતી, તો સવારે 7 વાગ્યે અચાનક તે ત્યાં કેવી રીતે મળી? આ બાબતની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.”
તંત્રની બેદરકારી સામે જનતામાં રોષ
આ ઘટના બાદ સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા પર દિલ્હી જલ બોર્ડ તથા સ્થાનિક પ્રશાસનની ભારે ટીકા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે ખુલ્લા ખાડા અને બિનસુરક્ષિત બાંધકામ શહેરમાં મોતના ખાડા બની રહ્યા છે, પરંતુ તંત્ર જવાબદારી લેતું નથી.
હાલમાં પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારજનોએ દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને યોગ્ય વળતરની માંગ કરી છે.