ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 18 જુલાઈ 2019 (10:39 IST)

આજે અલ્પેશ ઠાકોર વિધિવત ભાજપમાં જોડાશે, મંત્રીપદને લઇને સસ્પેંસ યથાવત

પૂર્વ કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર અને બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા આજે ભાજપમાં જોડાશે. કોંગ્રેસ છોડ્યા પછી વારંવાર અટકળો લગાવવામાં આવી રહી હતી કે અલ્પેશ ઠાકોર ગમેત્યારે ભાજપમાં જોડાઇ શકે છે. બંને નેતા આજે સાંજે 4 વાગે ભાજપનું સભ્યપદ ગ્રહણ કરશે. 
 
તમને જણાવી દઇએ કે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ રાજ્યસભાની પેટાચૂંટણીના મતદાન બાદ ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમને રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરતાં ભાજપના પક્ષમં મતદાન આપ્યા બાદ રાજીનામું આપ્યું હતું. જોકે અલ્પેશ ઠાકોરને રાજ્ય સરકારની કેબિનેટમાં સ્થાન મળશે કે નહી, તેને લઇને હજુ સુધી સસ્પેંસ યથાવત છે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશ ઠાકોરને રાજ્ય સરકારમાં મંત્રી પદ મળી શકે છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે વડાપ્રધાન નરેંદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતથી છે અને તેમની વિચારધારા ખૂબ પ્રભાવિત કરે છે. તેથી તે ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષમાં રહીને પોતાના ક્ષેત્રની મૂળભૂત સમસ્યાઓનું સમાધાન કરવા કરતાં સારું છે કે સત્તા સાથે રહીને તેમના મુદ્દાઓને જલદી ઉકેલી શકાય. 
 
આ પહેલાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની કોઇ વિચારધારા નથી. કોંગ્રેસ જમીની હકિકતથી દૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે 19 અથવા 20 જુલાઇએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એટલા માટે તે ગુરૂવારે ભાજપમાં જોડાઇ રહ્યા છે. 
 
ગુજરાતમાં પણ પક્ષાંતરની હલચલ
કર્ણાટક તથા ગોવા બાદ ગુજરાતમાં પણ ભાજપને કોંગ્રેસ છોડનારા ધારાસભ્યોનો સાથ મળી રહ્યો છે. ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર રાધનપુરથી તથા તે બાયડથી પેટાચૂંટણી લડશે. અલ્પેશની ઉત્તર ભારતીય વિરોધી છબિને લઇને ભાજપના કેટલાક નેતા અસમંજસમાં છે. સંઘ સાથે જોડાયેલા નેતાઓનું માનવું છે કે તેનાથી પાર્ટીને ભવિષ્યમાં નુકસાન વેઠવું પડી શકે છે.
 
બહુચરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોર પણ ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો ચાલી રહી છે તો બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી પણ કોંગ્રેસના હાઇકમાન્ડથી નારાજ છે. જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં જ વિરોધીઓને ટિકીટ આપતાં ભીખાભાઇ જોશી નારાજ છે. તો આ તરફ જૂનાગઢ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વીનું અમીપરા ભાજપમાં જોડાયા છે. આજે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણીની હાજરીમાં તેમણે વિધીવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે. વીનુ અમીપરાની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે.